સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર અલગ-અલગ ચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી પ્રદેશ કોંગ્રેશની અરજી પર બુધવારે ચૂંટણી પંચને 24 જુન સુધીમાં જવાબ આપવા આદેશ આપ્યો છે. જસ્ટિસ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અવકાશકાલીન પીઠે આ મામલાની સુનાવણી માટે 25 જૂનની તારીખ નક્કી કરતા કહ્યું કે તેના પર સુનાવણી જરૂરી છે.
પીઠે કહ્યું કે, ''આ એવો મુદ્દો નથી કે જેને ચૂંટણી અરજીના માધ્યમથી ઉઠાવી શકાય. તેથી એના પર સુનાવણી આવશ્યક છે.'' ગુજરાત કોંગ્રેસ તરફથી રજૂ વિવેક તન્ખાએ કહ્યું કે દિલ્હી હાઇકોર્ટના કેટલાક ચૂકાદા છે જે તેમના પક્ષમાં છે. તેના પર પીઠે કહ્યું કે, ''અમે હાલ કંઇ પણ નથી કહી રહ્યા.''
ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા ગુજરાતના અમરેલીથી કોંગ્રેસ ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ અરજી દાખલ કરી છે. આપને જણાવીએ કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઇરાનીએ ક્રમશ: ગાંધીનગર અને અમેઠીથી લોકસભામાં પહોંચ્યા બાદ ગુજરાતથી રાજ્યસભાની બે બેઠક ખાલી થઇ છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યસભા સહિત તમામ ગૃહ માટે પેટાચૂંટણી માટે ખાલી બેઠકને 'અલગ ખાલી બેઠક' માનવામાં આવે છે. તેના માટે અલગ-અલગ સૂચના જાહેર કરવામાં આવે છે. ચૂંટણી પણ અલગ-અલગ થાય છે. જોકે, તેનો કાર્યક્રમ એક જેવો હોય છે. આ બંને બેઠકો માટે ચૂંટણી 5 જુલાઇએ જ યોજાશે.
ગુજરાતથી વિરોધ પક્ષના નેતા ધાનાણીએ પોતાની અરજીમાં ચૂંટણી પંચના આદેશને અસંવૈધાનિક, મનસ્વી અને ગેરકાનૂની જાહેર કરતા તેને રદ્દ કરવા અનુરોધ કર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચનો આદેશથી સંવિધાનના અનુચ્છેદ 14નું હનન થાય છે. એમણે ચૂંટણી પંચને પેટા ચૂંટણી એક સાથે કરવા અને ગુજરાતમાં તમામ રાજ્યોમાં ખાલી પડેલી બેઠકો પર એકસાથે ચૂંટણી યોજવાનો નિર્દેશ કરવાનો અનુરોધ કર્યો છે.
આપને જણાવીએ કે, ગુજરાતની 182 વિધાનસભા બેઠકમાંથી ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 75 બેઠક છે. જ્યારે સાત સ્થાન ખાલી છે. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ ચૂંટણી પંચ કાર્યાલયને પોતાના રાજનૈતિક પ્રયાર માટે ઉપયોગ કરી રહી છે.