સુપ્રીમ કોર્ટે ડિવોર્સ મામલે મોટી ટિપ્પણી કરી, જ્યારે પત્ની લગ્ન ટકાવી રાખવા માગે છે ત્યારે કોર્ટ કલમ 142 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ પતિની અરજી પર લગ્ન ભંગ કરવા માટે નહીં કરે.
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા મામલે મોટી ટિપ્પણી કરી
'આજે લગ્ન અને આવતીકાલે છૂટાછેડા કલ્ચર' અહી નથી
40 દિવસમાં કોઈ મતભેદ ઉકેલી ન શકાય- SC
સુપ્રીમ કોર્ટે ડિવોર્સ મામલે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે ગુરુવારે (13 ઓક્ટોબર) કહ્યું હતું કે "ભારતમાં લગ્ન કોઈ આકસ્મિક ઘટના નથી. આપણે હજી 'આજે લગ્ન અને આવતીકાલે છૂટાછેડા' ના પશ્ચિમી ધોરણો સુધી પહોંચવાનું બાકી છે. આથી લગ્નજીવનમાં જ્યારે પત્ની લગ્ન ટકાવી રાખવા માગે છે ત્યારે કોર્ટ કલમ 142 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ પતિની અરજી પર લગ્ન ભંગ કરવા માટે નહીં કરે.
લગ્ન માત્ર 40 દિવસ ચાલ્યા
ન્યાયાધીશ સંજય કે કૌલ અને અભય એસ ઓકાની ખંડપીઠે આ દંપતીને ખાનગી મધ્યસ્થી પાસે રિફર કર્યું હતું. કોર્ટે કહ્યું કે આ લગ્ન માત્ર 40 દિવસ જ ચાલ્યા હતા અને યુવા દંપતીએ પોતાના મતભેદો ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. અલગ રહેતા આ દંપતી હાઈ ક્વોલિફાઇડ છે. પતિ સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે સંકળાયેલો હતો અને એક એનજીઓ ચલાવે છે અને પત્નીને કેનેડામાં પીઆરની અનુમતિ છે.
'પતિએ લગ્ન રદ્દ કરવાની આજીજી કરી'
સુનાવણી દરમિયાન પતિએ વારંવાર બેન્ચને લગ્ન રદ કરવાની વિનંતી કરી હતી. આ સમય દરમિયાન પત્નીએ કહ્યું કે, આ લગ્ન માટે તેણે કેનેડામાં બધું જ છોડી દીધું હતું. "કલમ 142 હેઠળની સત્તાનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો લગ્નના બંને પક્ષો સમાધાનથી દૂર થઈ રહ્યા હોય. પતિએ જણાવ્યું કે, લગ્નને બચાવવા માટે બંને તરફથી કોઇએ પ્રયાસ કર્યો નથી. આના પર ખંડપીઠે તેને યાદ અપાવ્યું કે મહિલાએ તેની સાથે લગ્ન કરવા માટે કેનેડાથી નોકરી છોડી દીધી હતી.
'એકબીજાને સમજવા માટે 40 દિવસ પૂરતા નથી'
જજે કહ્યું કે લગ્નના માત્ર 40 દિવસ એકબીજાને સમજવા માટે પૂરતા નહીં હોય અને સફળ લગ્ન માટે બંનેએ પ્રયાસ કરવો પડશે. પહેલા લગ્ન કરવા અને પછી થોડા દિવસ લગ્નમાંથી બહાર નીકળી જવાનું કામ કરી શકાતું નથી. ખંડપીઠે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ જે વજીફદારને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મેરેજ કાઉન્સેલરની મદદ લેવાની સ્વતંત્રતા આપી હતી. સાથે જ ત્રણ મહિનામાં મધ્યસ્થી પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.