રામનવમીના દિવસે ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં તોફાનમાં સામેલ અસામાજિક તત્વોની મિલકત પર ગુજરાત સરકારે બુલડોઝર ફેરવવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટની નોટિસ
બુલડોઝર એક્શન મુદ્દે નોટિસ
10 ઓગસ્ટે હાથ ધરાશે વધુ સુનાવણી
ગુજરાતમાં રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી જૂથ અથડામણ બાદ ગુજરાત સરકારે પણ યોગી સરકાર અને શિવરાજસિંહ સરકારની જેમ બુલડોઝર કાર્યવાહીના આદેશ આપ્યા હતા. . ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સક્કરપુર ગામની સરકારી જમીન ઉપર આવેલા ઝાડી-ઝાંખરા દૂર કરવામા આવ્યા હતા કારણ કે ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ ઝાડી-ઝાંખરાની આડશ લઈને પથ્થરમારો કર્યો હતો.
\બુલડોઝર કાર્યવાહી મુદ્દે ગુજ. સરકારને સુપ્રીમ નોટિસ
સમગ્ર કાર્યવાહી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે જેની આજે સુનાવણી હતી. જેમાં બુલડોઝર એક્શન મુદ્દે ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટએ નોટિસ આપી છે અને યોગ્ય જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. સાથે સાથે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સરકારને પણ નોટિસ ફટકારવામાં આવી છે. અત્યારે દેશમાં બુલડોઝર કાર્યવાહી પર કોઈ રોક લગાવવામાં આવી નથી. અરજીકર્તાની તરફથી વકીલ દુષ્યંત દવેએ સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવી જરુંરી છે. આ મુદ્દે કોર્ટે કહ્યું કે આ પ્રકારનો આદેશ કોર્ટ કેવી રીતે કરી શકે? વધુમાં આ કેસની સુનાવણી 10 ઓગસ્ટના રોજ હાથ ધરાશે. કોર્ટે ગતસુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, તેઓ ગેરકાયદેસર અતિક્રમણને હટાવવાનું રોકી શકતા નથી, પરંતુ ગેરકાયદે બાંધકામ તોડતા પહેલા કાયદાની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
વહીવટી તંત્રે એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ
જમીયત ઉલેમા-એ-હિંદના લીગલ સેલના સેક્રેટરી ગુલઝાર અહેમદ આઝમીના હસ્તાક્ષર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 જૂને મુસ્લિમ સમુદાયના લોકોએ કાનપુરમાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તેની હિંદુ સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું. જે બાદ બંને સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. પરંતુ તે પછી વહીવટીતંત્રે એકતરફી કાર્યવાહી કરી હતી. એક વર્ગના લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ રીતે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ થયેલી બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરવામા આવ્યો અને આ કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
MPમાં આખેઆખા મહોલ્લા ઉડાવી દેવામાં આવ્યા
નોંધનીય છે કે મધ્ય પ્રદેશના ખરગોનમાં પણ રામનવમીના દિવસે ભયંકર હિંસા થઈ હતી જે બાદ સરકાર દ્વારા આખેઆખા મહોલ્લાઓને ઉડાવી દેવામાં આવ્યા. તંત્ર દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીના ઘણા લોકોએ વખાણ કર્યા અને મુખ્યમંત્રીને બુલડોઝર મામા તરીકે જાણીતા કરી દીધા હતા. જોકે ઘણા લોકો આ પ્રકારના એક્શનનો વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે આરોપ સાબિત થયા પહેલા પૂર્વાગ્રહ રાખીને કોઈ પર કાર્યવાહી કરવી જોઈએ નહીં.
યોગીએ શરૂ કર્યો ક્રેઝ
મહત્વનું છે કે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાનો અસલ ક્રેઝ શરૂ કરવાનો શ્રેય યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર જાય છે જ્યાં માફિયાઑ અને ગુંડાઑની અનેક સંપત્તિઓ પર આ પ્રકારની કારુવા કાર્યવાહી કરવામાં આવી છે. આખા દેશમાં બુલડોઝર બાબાના નામથી યોગી આદિત્યનાથ ફેમસ થઈ ગયા અને ચૂંટણીમાં પણ જોરદાર ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો હતો.
UPમાં બાબા, MPમાં મામા અને ગુજરાતમાં દાદા
નોંધનીય છે કે ભુપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં દાદા તરીકે જાણીતા છે. ખંભાતમાં અસામાજિક તત્વોની મિલકત પર બુલડોઝર ફેરવવા આવ્યું ત્યારે જે તે વખતે સોશિયલ મીડિયા ઉપર સતત એ વાતની ચર્ચા હતી કે યુપીમાં બાબા એમપી મામા અને ગુજરાતમાં બુલ ડો ઝાર દાદાની એન્ટ્રી થઇ ગઇ છે.