કોરોના વાયરસના કારણે JEE-NEETની પરીક્ષાનો વિરોધ થયો હતો ત્યારે સર્વોચ્ચ અદાલતે યુનિવર્સીટીની પ્રથમ અને દ્વિતીય વર્ષની પરીક્ષાઓ લેવા મુદ્દે થયેલી એક અરજીની સુનાવણીમાં કહ્યું કે જો યુનિવર્સીટીને પરીક્ષાઓ લેવી હોય તો લઇ શકે છે.
અરજીકર્તાએ IGNOU સહીતની યુનિવર્સીટીમાં પરીક્ષા આયોજિત કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો
આ નિર્ણય યુનિવર્સીટી પર છોડવામાં આવે : SC
અરજીકર્તાની ઈચ્છા હોય તો પોતાની યુનિવર્સીટી સામે માંગ મૂકી શકે છે : SC
કોરોના વાયરસ કાળ વચ્ચે દેશની સર્વોચ્ચ અદાલતે એક અરજી ફગાવતા કહ્યું કે પ્રથમ અને દ્વિતીય વર્ષની પરીક્ષા લેવી કે નહીં તે વિશ્વવિદ્યાલય પર નિર્ભર છે. જો કોઈ યુનિવર્સીટીને પરીક્ષા લેવી હોય તો તે લઇ શકે છે. અરજીકર્તાએ IGNOU સહીતની યુનિવર્સીટીમાં પરીક્ષા આયોજિત કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટીમાં વિદ્યાર્થી આયુષ યેસુદાસની અરજીમાં કહેવામાં આવ્યું કે તમામ યુનિવર્સીટીમાં પહેલા અને બીજા વર્ષની પરીક્ષાઓને રદ્દ કરીને બધાને પ્રમોટ કરવામાં આવ્યા છે પરંતુ 22 જુલાઈના રોજ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું કે ડિસેમ્બર મહિનામાં પરીક્ષા લેવાશે. આવું કરવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થશે અને સમાનતાના અધિકારનો પણ ભંગ થશે કારણ કે અન્ય યુનિવર્સીટીમાં તો પરીક્ષા નથી.
સર્વોચ્ચ અદાલાતે 28મી ઓગસ્ટે અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવા માટેના યુજીસીના સર્ક્યુલરને યોગ્ય ઠેરવ્યું હતું. હવે આજની અરજી પણ તે જ બેંચમાં લાગી જે બેંચ દ્વારા અંતિમ વર્ષની પરીક્ષા મુદ્દે નિર્ણય આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે યુજીસીના સર્ક્યુલરમાં અંતિમ વર્ષની પરીક્ષા અનિવાર્ય કરવામાં આવી છે પણ બાકી પરીક્ષા પણ કોઈ પ્રતિબંધ નથી. આ નિર્ણય યુનિવર્સીટી પર છોડવામાં આવે છે. કોર્ટે કહ્યું કે અરજીકર્તાની ઈચ્છા હોય તો પોતાની યુનિવર્સીટી સામે માંગ મૂકી શકે છે. જોકે બાદ અરજી કરનારે કોર્ટ જ આદેશ આપે તે માંગ કરી તો કોર્ટે અરજી ફગાવી દીધી.