કેન્દ્ર સરકારને પેગાસસ મુદ્દે ખખડાવ્યા બાદ હવે સુપ્રીમે એક્સપર્ટસની નવી કમિટી બેસાડવાની વાત કરી હતી.
પેગાસસ જાસૂસી મામલે તપાસ માટે સુપ્રિમ કોર્ટ એક એક્સપર્ટસ કમિટી બનાવશે. ગુરુવારે આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે કઈ રીતે કમિટી કામ કરશે અને કઈ રીતે તપાસ આગળ વધશે. આ મુદ્દે હવે આગામી સપ્તાહમાં વિસ્તૃત આદેશો આપવામાં આવે તેવી સંભાવના છે.
અંગત કારણોસર એક્સપર્ટસનો નનૈયો
ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું હતું કે કમિટીનો ભાગ બનવા માટે કેટલાક એક્સપર્ટસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમાંથી કેટલાક પોતાના અંગત કારણોસર તેનો હિસ્સો બની શક્ય ન્હોતા.
જસ્ટિસ એન વી રમન્નાએ કોર્ટમાં ટેકનિકલ એક્સપર્ટસની કમિટી ફાઇનલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પણ એક્સપર્ટસની એક કમિટી બનાવીને આ મામલે તપાસની વાત કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસે વકીલ સી. યુ. સિંહને કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ આ અઠવાડિયે પેગાસસ મામલે જરૂરી તપાસ કરશે અને તે માટે એક કમિટી બનાવશે.
અગાઉ કહ્યું હતું કે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે.
જો કે આ અગાઉ સુનાવણીમાં CJI રમનાએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તમે ફરી એક જ વસ્તુ પર પાછા ફરી રહ્યા છો. અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે. અમે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં જતા નથી. અમારી મર્યાદિત ચિંતા લોકોની છે. સમિતિની નિમણૂક કોઈ મુદ્દો નથી. સોગંદનામાનો હેતુ બતાવવો જોઈએ કે તમે ક્યાં ઉભા છો. સંસદમાં તમારા પોતાના આઇટી મંત્રીના નિવેદન મુજબ ફોનનું ટેકનીકલ વિશ્લેષણ કર્યા વિના મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.
એ વખતે સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સુરક્ષા અને લશ્કરી એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર સોફટવેરનો ઉપયોગ કરી રહી છે તે જાહેર કરશે નહીં જેથી આતંકવાદી નેટવર્ક્સ તેમની સિસ્ટમોમાં ફેરફાર કરી શકે અને ટ્રેકિંગ ટાળી શકે. મહેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર મોનીટરીંગ સંબંધિત તમામ હકીકતો નિષ્ણાત ટેકનિકલ સમિતિ સમક્ષ મૂકવા માટે તૈયાર છે, જે કોર્ટને રિપોર્ટ આપી શકે છે.