બિહારમાં ચમકી તાવનો જે કહેર શરૂ થયો છે તે હજુ પણ રોકાવાનું નામ લેતો નથી. સતત આ તાવને લઇને કેસો સામે આવી રહ્યાં છે. જેના કારણે મૃત્યું આંક અત્યાર સુધીમાં 152 સુધી પહોંચી ગયો છે. ચમકી તાવને લઇને બિહારમાં ચાલી રહેલા હાહાકાર વચ્ચે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી.
ચમકી તાવને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને બિહાર સરકાર પાસે જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે ત્રણ મુદ્દે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. જેમાં સ્વાસ્થ્ય, સાફ-સફાઇ અને પોષમ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મૂળ અધિકાર છે, જેને મળવું જ જોઇએ.
સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શું ચમકી તાવને લઇને કોઇ યોજના લાગુ કરવામાં આવી છે. કોર્ટે કરેલી ટિપ્પણીમાં જણાવ્યું કે કેટલાંક સામે આવેલા રિપોર્ટમાં વાંચવામાં આવ્યું છે કે ઘણા ગામ એવા છે જ્યાં કોઇ બાળક બચ્યું જ નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં પણ આવી જ પરિસ્થિતિ હતી, પણ ત્યાં કેવી રીતે સુધારો થયો.
આમ સુપ્રીમ કોર્ટે સાત દિવસમાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં બે વકીલોએ અરજી દાખલ કરી હતી. બિહારમાં ચમકી તાવને લઇને અત્યાર સુધીમાં મુઝફ્ફરપુરમાં 130 બાળકોના મોત નિપજ્યાં છે. જ્યારે બિહારની વાત કરીએ તો અત્યાર સુધીમાં મૃતક બાળકોની સંખ્યા 152 સુધી પહોંચી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ તરફથી બિહાર સરકારને મેડિકલ સુવિધા વધારવાના આદેશ આપવામાં આવે. આ સાથે જ કેન્દ્ર સરકારને આ અંગે એકશન લેવા જણાવામાં આવે.
ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સતત આ મુદ્દે મૌન રાખી રહ્યાં છે. જ્યારે પણ બિહારના સીએમ નીતિશ કુમારને આ અંગે સવાલ પુછવામાં આવ્યો છે ત્યારે તેઓ મૌન રાખતા જોવા મળ્યાં છે.