રોજગારી માટે વતન છોડીને અન્ય રાજ્યમાં ગયેલા પ્રવાસી શ્રમજીવીઓ લૉકડાઉન લાંબું ચાલતાં પરેશાની અનુભવતા હતા અને લૉકડાઉનના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરીને પરિવાર સાથે મોટા સમૂહમાં વતન જવા માટે નીકળી પડ્યા હતા. એ બધાને સમજાવીને રોકી રાખવાનું અશક્ય જણાતાં કેન્દ્ર સરકારે તેમના માટે રાજ્ય સરકારના સહયોગ સાથે ખાસ ટ્રેનો શરૂ કરી હતી, પરંતુ એ વ્યવસ્થા અપૂરતી બની રહેતાં દેશભરના હાઈવે પર શ્રમજીવીઓની પગપાળા વતન વાપસીનાં વરવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
આ શ્રમજીવીઓની વેદના અને મૂંઝવણને સમજવા સરકાર અને તંત્રએ ભારે વિલંબ કર્યો. એ દરમિયાન મે માસના છેલ્લા સપ્તાહમાં સર્વોચ્ચ અદાલતે શ્રમજીવીઓના પ્રશ્નોનું સંજ્ઞાન લઈને સુઓ-મોટો અરજીની સુનાવણી હાથ ધરી હતી. એ પછી સર્વોચ્ચ અદાલતે ૯ જૂને સરકારને કેટલાક નિર્દેશ આપીને જે શ્રમજીવીઓ પોતાના વતન કે જ્યાં ક્યાંય પણ જવા ઇચ્છતા હોય તેમને ત્યાં પહોંચાડવાની બે સપ્તાહમાં વ્યવસ્થા કરવા જણાવ્યું છે, સાથોસાથ આ શ્રમિકો જે રાજ્યમાં જાય ત્યાં તેમના વતન રાજ્યમાં સ્થાનિક સ્તરે તેમને રોજગારી પૂરી પાડવા માટેનું આયોજન કરવા પણ જણાવ્યું છે.
પરપ્રાંતિય શ્રમિકો ઉપર ત્યારે ધ્યાન અપાયું જયારે લોકડાઉન પૂર્ણ થવાની આરે છે
લૉકડાઉન દરમિયાન જે શ્રમજીવીઓ સરકારના દિશા-નિર્દેશનું ઉલ્લંઘન કરીને ચાલી નીકળ્યા હતા તેમની સામે કરવામાં આવેલા કેસને પણ પાછા ખેંચી લેવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે તેના આ આદેશ દ્વારા શ્રમજીવીઓને મોટી રાહત આપી છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી, પરંતુ અદાલતનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે સરકારે લૉકડાઉનનો તબક્કાવાર અંત લાવવાનો નિર્ણય કર્યો છે અને ૮ જૂનથી અનલૉક-૧નો આરંભ કરીને લૉકડાઉનના નિયંત્રણમાં વ્યાપક છૂટછાટ આપીને ધંધા-રોજગાર, નાના-મોટા ઉદ્યોગો, દુકાન-રેસ્ટોરાં, શોપિંગ મૉલ વગેરે શરતોને આધીન શરૂ કરવાની છૂટ આપીને આર્થિક પ્રવૃત્તિઓની પ્રક્રિયા આરંભી છે. એ સાથે નાનાં-મોટાં કારખાનાં, ઑફિસ-બજાર શરૂ થઈ જતાં શ્રમજીવીઓ માટે ફરી રોજગારીની તકો સર્જાઈ રહી છે ત્યારે ઘણા કિસ્સામાં ખાસ કરીને ગુજરાતમાં એવું જોવા મળ્યું છે કે પોતાના વતન પહોંચી ગયેલા અનેક શ્રમજીવીઓએ ફરી ગુજરાત પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે એટલું જ નહીં તો કેટલાકે તો ગુજરાતે તેમને ઘણું આપ્યું હોવાનું સ્વીકારીને ગુજરાતને તેઓ ભૂલી શકે નહીં એમ પણ કહ્યું છે.
સ્થાનિક સ્તરે કામ મળી રહે એ માટે સ્કિલ મેપિંગ કરવા પણ અદાલતે જણાવ્યું
લૉકડાઉન હળવું થતાં અને રોજગારીની તકો ઊજળી બનવા છતાં કોરોના સંક્રમણના સંકટના કારણે એક વખત વતન જવાની ઝંખના સેવનારા શ્રમજીવીઓ આજે પણ મોટી સંખ્યામાં છે અને તેમના માટે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ આશીર્વાદરૂપ બનશે. એ જ રીતે જે શ્રમજીવી હવે પોતાના વતનમાં જ સ્થાયી થવા ઇચ્છતા હોય તેમના માટે સ્થાનિક સ્તરે કામ મળી રહે એ માટે સ્કિલ મેપિંગ કરવા પણ અદાલતે જણાવ્યું છે. રાજ્ય સરકારોએ એ માટે કૃષિ સંલગ્ન ઉદ્યોગો ગ્રામ્ય વિસ્તારમાં સ્થપાય એ માટેની કામગીરી વહેલી તકે શરૂ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજમાં પણ તેના માટેની વ્યાપક જોગવાઈ કરેલી છે.
શ્રમિકોના પરિવારોને અનાજ સહિતની સહાય મળી રહે એ પણ જોવું પડશે
સ્વાભાવિક રીતે જ આવા શ્રમિકોની ઘરવાપસી પછી રાજ્ય સરકાર માટે તેમના પુનર્વાસની કામગીરી પડકારરૂપ બની રહેવાની છે, પરંતુ રાજ્ય સરકાર જો તેને રાજ્યના વિકાસ માટે એક અવસરના રૂપમાં લઈ કામગીરી શરૂ કરે તો એ રાજ્ય અને લોકો માટે લાભદાયક બની રહેશે. લૉકડાઉન દરમિયાન જ આર્થિક મુસીબતનો સામનો કરીને પાછા આવેલા શ્રમજીવીને વહેલી તકે કામ મળી રહે એ જોવું પડે તો સાથોસાથ જ્યાં સુધી તેમના માટે રોજગારીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમના પરિવારોને અનાજ સહિતની સહાય મળી રહે એ પણ જોવું પડશે.
અદાલતનું ધ્યાન પણ આ દિશામાં મોડું ગયું હોવાનું કેટલાકે અનુભવ્યું છે
કોરોના સંક્રમણના સંકટના કારણે જે અસાધારણ સ્થિતિ સર્જાઈ છે તેમાં સૌથી વધુ મુશ્કેલી સહન કરનાર કદાચ શ્રમજીવી વર્ગ છે. સર્વોચ્ચ અદાલતે તેમનો મુદ્દો સુઓ-મોટો દ્વારા હાથ ધર્યો એ વિશે કેટલાકના ભિન્ન મત હોઈ શકે છે તો અદાલતનું ધ્યાન પણ આ દિશામાં મોડું ગયું હોવાનું કેટલાકે અનુભવ્યું છે. અદાલતના દિશા-નિર્દેશનો અર્થ એવો નથી કે સરકારે શ્રમજીવીઓ માટે કશું કર્યું નથી. અદાલતે સરકારને તેના પ્રયાસો અને કામગીરીમાં વધુ ચોકસાઈ અને વધુ સક્રિયતાની અપેક્ષાએ નિર્દેશો આપ્યા છે. સર્વોચ્ચ અદાલતનું આ દિશામાં ધ્યાન દોરવાનું કામ વીસ અગ્રણી ધારાશાસ્ત્રીઓએ કર્યું હતું.