સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓના અધિકારો અને સહિયારા ઘરને લઈને મહત્વનો નિર્ણય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે 'સહિયારા પરિવારમાં રહેવાના અધિકાર'નું વિસ્તૃતમાં અર્થઘટન કર્યું.
ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓની સુરક્ષા જરૂરી
સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય
'સહિયારા ઘરમાં રહેવાનો છે અધિકાર'
સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ જોઇન્ટ ફેમિલીમાં રહેવાના અધિકારની વિસ્તૃત વ્યાખ્યા આપી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે તે મહિલા મા હોય, દિકરી, બહેન , પત્ની, સાસુ કે વહુ હોય તેણે જોઇન્ટ ફેમિલીમાં રહેવાનો અધિકાર છે. ઘરેલુ હિંસામાં મહિલાઓને સંરક્ષણ અધિનિયમ હેઠળ જોઇન્ટ ફેમિલીનું વિશ્લેષણ કરતો 79 પાનાનો નિર્ણય સંભળાવ્યો છે.
મહિલાને જોઇન્ટ ફેમિલીમાં રહેવાનો અધિકાર
જસ્ટિસ એમ.આર.શાહ અને બી.વી. નાગરત્નાની બેંચ પતિના મૃત્યુ બાદ ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન જણાવ્યું કે કોઇ મહિલા પીડિત ન હોય અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કેસ ન હોય તેવી ઘરેલુ સંબંધ ધરાવતી મહિલાને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે. ઘરેલું સંબંધમાં માતા, પુત્રી, બહેન, પત્ની, સાસુ અને પુત્રવધૂ અથવા આવી અન્ય શ્રેણીની મહિલાઓને સહિયારા પરિવારમાં રહેવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે તે માત્ર વાસ્તવિક વૈવાહિક રહેઠાણ સુધી મર્યાદિત ન હોઈ શકે, પરંતુ મિલકત પરના અધિકારને ધ્યાનમાં લીધા વિના અન્ય મકાનો સુધી વિસ્તૃત કરી શકાય છે.
સહિયારા ઘરમાંથી બહાર કાઢી ન શકે
જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે મહિલાઓને ઉપરની શ્રેણીમાં અને ઘરેલુ સંબંધોમાં મહિલાઓની આવી અન્ય શ્રેણીની મહિલાઓના રહેઠાણનો અધિકાર કલમ 17ની પેટા-કલમ (1) હેઠળ ખાતરી આપવામાં આવે છે. આ કલમ હેઠળ તેઓને સહિયારા ઘરમાંથી કાઢી મૂકી શકાય નહી. કોઇ પણ પ્રકારની ઘરેલુ હિંસા ન હોય તો તે મહિલા સહિયારા ઘરમાં રહી શકે છે.
સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર વાસ્તવિક ઘર સુધી સીમિત નહી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમ સિવિલ કોડનો એક ભાગ છે જે દરેકને લાગુ પડે છે. જસ્ટિસ શાહ અને નાગરત્નાએ કહ્યું કે સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર વાસ્તવિક રહેઠાણ સુધી સીમીત ન હોઇ શકે. બીજા શબ્દોમાં કહીએ તો, સહિયારા મકાનમાં વાસ્તવિક રહેઠાણની ગેરહાજરીમાં પણ સ્ત્રી તેમાં રહેવાના અધિકારનો ઉપયોગ કરી શકે છે.
મોટાભાગની મહિલાઓ શિક્ષિત- કમાતી નથી
બેંચે અવલોકન કર્યું કે ભારતીય સામાજિક સંદર્ભમાં સ્ત્રીએ સહિયારા પરિવારમાં રહેવાના અધિકારનું અનન્ય મહત્વ છે. કારણ કે ભારતમાં મોટાભાગની મહિલાઓ શિક્ષિત નથી કે કમાતી નથી. તેમજ તેમની પાસે એકલા રહેવા માટે સ્વતંત્ર રીતે ખર્ચ કરવા માટે પૈસા નથી. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે તે માત્ર ભાવનાત્મક આધાર માટે જ નહીં પરંતુ ઉપરોક્ત કારણોસર ઘરેલુ સંબંધમાં હોવા માટે પણ આશ્રિત હોઈ શકે છે. ભારતમાં મોટાભાગની મહિલાઓ પાસે સ્વતંત્ર આવક કે નાણાકીય ક્ષમતા નથી. તેઓ સંપૂર્ણપણે તેમના ઘર પર નિર્ભર છે.