શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ આતંકવાદના ઉત્તેજનનું ઉદાહરણ આપીને જનહિતની અરજી દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે સોમવારે જનહિતની અરજી રદ કરીને રિઝવીને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
વસીમ રિઝવીએ 26 આયાતોનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેનાથી કટ્ટરતા અને આતંકવાદને ઉત્તેજન મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ આયતોને પાછળથી કૂરાનમાં સામેલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં શું થયું
આ કેસની સુનાવણી શરુ થયા બાદ જસ્ટિસ નરિમાને સિનિયર એડવોકેટ રવિન્દ્ર કુમાર રાયજાદાને પૂછ્યું કે શું તેઓ પિટિશન અંગે ગંભીર છે અને તાકીદની સુનાવણી કરવા માંગે છે. જસ્ટિસ નરિમાને જણાવ્યું કે શું તમે આ અરજી ગંભીરતાથી આગળ ધપાવવા માંગો છે.
જસ્ટિસ નરિમાનના સવાલ બાદ વકીલ રાયજાદાએ એવો જવાબ આપ્યો કે તેઓ મદરેસા એજ્યુકેશનના નિયમો હેઠળ નમાઝને લાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે મારી રજૂઆત એવી છે કે આ ઉપદેશો હિંસાને ઉત્તેજન આપે છે. બાળકોને ખૂબ નાની વયે મદરેસામાં કેદ કરી રાખવામાં આવે છે. આ ઉપદેશો વિચારોમાં ન પરિણમી શકે .મેં કાર્યવાહી માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.
કૂરાનની 26 આયતોનો હટાવવા માટે સુપ્રીમ કોર્ટની જનહિતની અરજી બાદ વસીમ રિઝવીની સામે મોટાપાયે દેખાવ કરાયા હતા અને તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી મળતા તેમણે વાય કેટેગરીના સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગે તેને કોમી એકતા બગાડી નાખવાની એક કોશિશ તરીકે ગણાવી હતી.