ઇવીએમ અને વીવીપેટની સ્લિપની ૧૦૦ ટકા ટેલી કરવાની માગણી કરી રહેલા વિપક્ષોને આજે સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૦૦ ટકા વીવીપેટની સ્લિપ ઇવીએમ સાથે ટેલી કરવાની દાદ માગતી અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેનાથી લોકશાહીને નુકસાન પહોંચશે. પિટિશનરે ગોવા અને ઓડિશા ઉપરાંત ઘણાં રાજ્યમાં ઇવીએમ મશીનોમાં થયેલ ગરબડ અને ગેરરીતિઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી દાદ માગી હતી કે તમામ ઇવીએમની સ્લિપો વીવીપેટની સ્લિપ સાથે ૧૦૦ ટકા ટેલી કરવા માટે ચૂંટણીપંચને આદેશ કરવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.
દરમિયાન લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરીને વધુ નિષ્પક્ષ અને પારદર્શી કરવાના હેતુસર તમામ રાજ્યમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરોને આવશ્યક દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. તમામ વિધાનસભાઓના ઇવીએમની મતગણતરી માટે તમામ વિધાનસભા મતક્ષેત્ર માટે અલગ અલગ કાઉિન્ટંગ હોલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.
તમામ વિધાનસભામાં ઇવીએમ દ્વારા મતગણતરીની સાથે-સાથે તમામ વિધાનસભા મતક્ષેત્રમાં એક-એક કાઉન્ટર વીવીપેટની ગણતરી માટે પણ બનાવવામાં આવશે એવા નિર્દેશો મળી રહ્યા છે, જોકે વિરોધ પક્ષોએ આ મુદ્દે જોરદાર રજૂઆત કરવા આજે ચૂંટણીપંચને મળવાનું નક્કી કર્યું છે. આંધ્રના મુખ્યપ્રધાન અને ટીડીપીના પ્રમુખ એન.ચંદ્રાબાબુ નાયડુએ ઇવીએમ સાથે ચેડાં થઇ શકે છે એ વાતને ધ્યાનમાં લઇને એવી માગણી કરી છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માટે વીવીપેટ સ્લિપોનો ઉપયોગ બેલેટ પેપર તરીકે કરવો જોઇએ.