અયોધ્યા કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને પાંચસો વર્ષ જુના વિવાદનો અંત આવ્યો. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સૌ કોઈએ આવકાર્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વખતે પ્રથાનો ભંગ કર્યો છે. સામન્યતઃ કોઈ પણ ચુકાદો આવે ત્યારે ચુકાદો લખનાર જજના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઈ પણ નામનો ઉલ્લેખ કર્યો નથી.
પાંચસો વર્ષ જુના વિવાદનો અંત, રામલલાને મળી વિવાદિત જમીન
કેન્દ્ર સરકાર મંદિર માટે ત્રણ મહિનામાં બનાવશે ટ્રસ્ટ
ચુકાદામાં 116 પેજનું પરિશિષ્ટ પણ જોડવામાં આવ્યું
સર્વાનુમતે લેવામાં આવ્યો નિર્ણય
પાંચ સો વર્ષ જુના વિવાદ અને 134 વર્ષનું કાનૂની લડાઈ બાદ સર્વોચ્ચ અદાલતે શનિવારે અયોધ્યા જમીન વિવાદમાં ચુકાદો આપી દીધો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવળી પાંચ જજોની સંવિધાન પીઠે સર્વાનુમતે અયોધ્યાને ભગવાનનું જન્મસ્થાન માની બધી જ જમીન રામલલા વિરાજમાનને આપવાનો ચુકાદો આપ્યો અને મંદિર બનાવવાનું કામ મોકળું કર્યું.
ચુકાદો લખનાર જજના નામનો ઉલ્લેખ નહીં
સર્વોચ્ચ અદાલતે કુલ 1045 પાનામાં ચુકાદો આપ્યો. સામાન્ય રીતે જયારે કોર્ટ કોઇપણ ચુકાદો આપે ત્યારે ચુકાદો લખનાર જજના નામનું ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ આ વખતે આ ચુકાદામાં કોઈ પણ જજનું નામ લખવામાં આવ્યું નથી. આપને જણાવી દઈએ કે આ પીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ બોબડે, જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર પણ સામેલ હતા.
પરિશિષ્ટના લેખકનું નામ પણ ન જણાવ્યું
તેમજ આ નિર્ણયમાં 929 પેજ બાદ 116 પેજ પરિશિષ્ટમાં જોડવામાં આવ્યા છે જેમાં વિવાદિત સ્થળ અને શ્રી રામના જન્મસ્થળ સંબધિત માહિતી આપવામાં આવી છે આ પરિશિષ્ટના લેખકના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી