પાટીદાર નેતા મટીને કોંગ્રેસમાં જોડાયેલાં અને લોકસભાની ચૂંટણી લડવા થનગનતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક મળી છે. કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. હાર્દિક પટેલની અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરવાની સુપ્રીમ કોર્ટે ઘસીને ના પાડી દીધી છે.
સુપ્રીમ કોર્ટે હાર્દિકની અરજીનો સ્વીકાર તો કર્યો પરંતુ તાબડતોબ સુનાવણીની ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટ ચોથી તારીખે સુનાવણી હાથ ધરશે. જો તે દિવસે હાર્દિકનાં પક્ષમાં નિર્ણય આવે તો પણ હાર્દિક માટે ઘણું મોડું થઈ ચૂક્યું હશે.
હાર્દિક સામે પોલીસ કેસ ઊભાં હોવાંથી એ ચૂંટણી લડી ન શકે એવાં ગુજરાત હાઇકોર્ટનાં ચુકાદાને હાર્દિકે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાર્દિકનાં વકીલે લોકસભાની ચૂંટણી આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં હોવાંથી આ અરજીની તત્કાળ સુનાવણી કરવાની વિનંતી સુપ્રીમ કોર્ટને કરી હતી.
પરંતુ હવે સુપ્રીમ કોર્ટે એ અરજી નકારી કાઢી છે અને આવી અરજી કરવા બદલ હાર્દિકનાં વકીલને ઠપકો પણ આપ્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે હાર્દિકને 2018માં ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી એણે કેમ અરજી ન હોતી કરી અને હવે શેની અરજન્ટ્સી છે? એમ જણાવીને સુનાવણી વહેલી નહીં થાય તેમ જણાવી દીધું છે.
સુપ્રીમ કોર્ટનાં કડક વલણ બાદ લોકસભા ચૂંટણી લડવાનાં હાર્દિક પટેલનાં ઓરતા અધૂરા રહી જાય તેવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટને આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની કોઈ જરૂર જણાઈ નથી. સર્વોચ્ચ ન્યાયાલયે આ કેસની સુનાવણી હવે ચોથી એપ્રિલે કરવાનું જણાવ્યું છે.
પરંતુ ચોથી તારીખ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. એ જોતાં હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પાસેથી પણ હાર્દિકની મહેચ્છા પર પાણી ફરી વળે તેવું લાગી રહ્યું છે. જામનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ચોથી એપ્રિલ છે. જેથી હવે હાર્દિક લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા ઓસરી ગઈ છે. જો કે, તેમ છતાં હાર્દિકને સુપ્રીમમાંથી રાહત મળે તેવાં પ્રયાસો ચાલું છે.
પિપલ્ઝ રિપ્રેઝન્ટેટિવ એક્ટ, 1951 મુજબ હાર્દિક પટેલ પોતાની સજાને લઈને આ વખતની લોકસભા ચૂંટણી લડી શકે તેમ નથી. આ કાયદા હેઠળ બે વર્ષ અથવા તેનાંથી વધુની સજા થઈ હોય તેવાં નેતાઓ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે નહીં.
પાટીદાર અનામત આંદોલનથી ચમકેલા 25 વર્ષીય હાર્દિક પટેલે 12મી માર્ચે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ તે જામનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેવી અટકળો થતી હતી. પરંતુ હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ હાર્દિકની મહેચ્છા અઘૂરી રાખી દીધી છે.
સુપ્રીમ કોર્ટે હાર્દિકની અરજી પર સુનાવણી માટે ચોથી એપ્રિલ નિયત કરી છે. જો હવે સંભવતઃ ચોથી તારીકે સર્વોચ્ચ ન્યાયાલય તેની સજાને રદ કરે છે તો પણ હાર્દિકે તે દિવસે જ ઉમેદવારી પત્ર ભરવું પડશે જે હાર્દિક માટે અઘરૂ થઈ પડશે. જો કે કોંગ્રેસ ત્યાં સુધી જામનગર બેઠકનાં ઉમેદવાર જાહેર કરે છે કે કેમ તે જોવાનું રહેશે. જો કે, કોંગ્રેસે જામનગર બેઠક માટે હાર્દિકનાં બદલે એભા કુરમુરને પણ લોકસભા ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે.
હાર્દિકને સુપ્રીમમાંથી રાહત ના મળે તો તે સંજોગોમાં એભા કુરમુર કોંગ્રેસની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. હાર્દિક સામે આ સામા પવનનાં માહોલમાં માત્ર એક આશા બચી છે. જો ચોથી તારીખે હાર્દિકની તરફેણમાં નિર્ણય આવે અને અમરેલી લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવે તો તે વિધાનસભા બેઠક ખાલી પડી શકે તેમ છે અને તે બેઠક પરથી હાર્દિકને કોંગ્રેસનાં ઉમેદવારવાર તરીકે ચૂંટણી લડવાનો મોકો મળી શકે તેમ છે.