સુપ્રીમકોર્ટે ખેડૂતો-સરકારનો મત સમજવા માટે કમિટી બનાવ્યા પછી પણ ખેડૂતોનો વિરોધ યથાવત છે. ખેડૂતોનો આરોપ છે કે સરકારે આપેલા 4 નામો સુપ્રીમકોર્ટે જાહેર કર્યા છે પરંતુ સોશિયલ મીડિયામાં પણ કમિટીના 4 નામો વિશે ટીકાઓ થઈ રહી છે. નોંધનીય છે કે, 4 સભ્યોમાંથી 3 સભ્યોએ અગાઉ નવા કૃષિ કાયદાઓનું ખુલ્લું સમર્થન કર્યું છે. તો કોણ છે આ કમિટીના સભ્યો તે ચાલો જાણીએ.
સુપ્રીમ કોર્ટે 4 લોકોની કમિટીની કરી રચના
જાણો કોનો-કોનો કરાયો છે સમાવેશ
આપને જણાવી દઇએ કે, ત્રણેય સભ્યો કાયદાઓ વિશે વિપક્ષના વલણની પણ સખત ટીકાઓ કરી રહ્યાં છે જો કે, આ ત્રણ સભ્યોના નામ જાહેર થયા પછી વિપક્ષો પણ કમિટીની ટીકા કરી રહ્યાં છે.
અશોક ગુલાટી કોણ છે
ખેતી ખર્ચ અને ભાવ પંચના પૂર્વ ચેરમેન પદે અશોક ગુલાટી રહી ચૂક્યા છે. તેઓ દેશમાં ખેતી અર્થશાસ્ત્રી તરીકે પણ જાણીતા છે. તો ખાદ્યાન્નના ટેકાના ભાવ ભારતમાં વધ્યા તેમાં ગુલાટીનો ફાળો મહત્વનો છે. હાલમાં ICRIER ખેતી વિષયના પ્રોફેસરની જવાબદારી નિભાવે છે.
આપને જણાવી દઇએ કે, 2015માં ખેતી સુધારણા માટે મોદીએ બનાવેલા ટાસ્ક ફોર્સના સભ્ય છે તો FCIની કાર્યક્ષમતા વધારવા માટે મોદી સરકારે બનાવેલી સમિતિના પણ સભ્ય છે. 23 ખેત પેદાશોના ભાવો વિશે ગુલાટી ભારત સરકારના સલાહકાર છે તથા ભાવ પંચના ચેરમેન તરીકે ગુલાટીએ અત્યાર સુધી કૃષિ પેદાશોના ભાવ પર 15 રિપોર્ટ લખ્યા છે. આ સાથે જ ગુલાટી 10 વર્ષો સુધી આંતરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન ઈન્ટીટ્યૂટના ડિરેક્ટર રહી ચૂક્યા છે તો NABARD વતીથી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈકોનોમિક ગ્રોથના પણ પ્રોફેસર રહી ચૂક્યા છે. 1991 થી 97 દરમિયાન NCAERના ડિરિકેટર અને ચીફ ઈકોનોમીસ્ટ રહી ચૂક્યા છે તથા અટલ બિહારી વાજપેઈના સલાહકાર તરીકે સૌથી નાની ઉંમરના વ્યક્તિ હતા. 2015માં ભારત સરકારે ગુલાટીને પદ્મશ્રીથી નવાજ્યા હતા.
અશોક ગુલાટીનું કાયદા વિશે સ્ટેન્ડ
સુપ્રીમકોર્ટે કમિટી બનાવી તેના એક સભ્ય અશોક ગુલાટી પણ છે. ત્રણ કાયદાના પગલાને ગુલાટીએ લાયસન્સરાજ ખતમ કરવા સાથે સરખાવ્યા હતા.
ભાવ પંચના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અશોક ગુલાટી. તેઓ પહેલેથી જ ત્રણ કાયદા વિશે ગુલાટી સરકારની તરફેણ કરે છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના હિતમાં કાયદા હોવાનું અખબારોમાં લખતાં રહ્યાં છે. ગુલાટી માને છે કે કાયદા દ્વારા સરકારે ખેડૂતોને માલ વેચવાની આઝાદી આપી છે તો વિપક્ષ જે ગેરંટી માગે છે તેનાથી ખાનગી કંપનીઓ માલ ખરીદશે નહી તેવું ગુલાટી માને છે
ભૂપેન્દર સિંઘ માન કોણ છે?
ભૂપેન્દર સિંઘ માન BKUના નેતા તથા તેઓ ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કમિટીની સ્થાપના કરી છે. નોંધનીય છે કે, 1990માં રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. ખેડૂતોના સંઘર્ષમાં યોગદાન બદલ રાષ્ટ્રપતિએ તેમને નામાંકિત કર્યા હતા. આપને જણાવી દઇએ કે, ભૂપેન્દર સિંઘ માન આંદોલનકારી સંગઠનોનો ભાગ નથી. 1966માં કિસાન મિત્ર સંગઠન બનાવ્યુ હતું. માને ઇન્દિરા ગાંધી સમયે ઇમરજન્સી લાગૂ કરવાનો વિરોધ કર્યો હતો અને જેલમાં પણ રહ્યા હતા.
ભૂપેન્દર સિંઘ અને સરકારનું કનેક્શન
સૌથી પહેલા નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દર સિંઘ માન વિશે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દર સિંઘે સ્થાપેલી કિસાન કમિટી ત્રણેય કાયદાની તરફેણ કરે છે. તો ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કમિટીએ કાયદાને સમર્થનની જાહેરાત કરી હતી. ભૂપેન્દર સિંઘની સંસ્થાએ ટેકો જાહેર કર્યા બાદ ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો તો સરકાર ખેડૂતો વચ્ચે ભાગલા પાડી રહી છે. થોડા સુધારા સાથે કાયદાઓ અમલી બનાવવા જોઈએ તેવો કમિટીનો મત હતો. 1990માં ભૂપેન્દર સિંઘને રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા
પહેલા દિવસથી ત્રણેય કૃષિ સુધારણા કાયદાઓનું માન સમર્થન કરે છે અને જ્યારે ખેડૂતોના વિરોધની સમાંતર માન સરકારનું સમર્થન કરે છે
કોણ છે ડૉ.પ્રમોદ જોશી?
ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં જન્મેલા છે ડૉ.પ્રમોદ જોશી. તેઓ ઈન્ટરનેશનલ ફૂડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડિરેક્ટર રહી ચુક્યા છે. ડિવિઝન ઓફ એગ્રિકલ્ચર ઈકોનોમિક્સના વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે. વર્ષ 2012થી 2019 સુધી ઈન્ટરનેશનલ ફૂડ પોલિસ ઈન્સ્ટીટ્યૂટના ડિરેક્ટર રહ્યા
ડૉ.પ્રમોદ જોશીનો કાયદા વિશે મત
ખેતીમાં સંશોધન વિષયમાં નિષ્ણાંત એવા પ્રમોદ જોશી સુપ્રીમકોર્ટે બનાવેલી સમિતિના એક સભ્ય પણ છે. પ્રમોદ જોશી પણ ખેડૂતો વિશે ગુલાટી જેવો જ મત ધરાવે છે.
જોશી ખેડૂતોના એ આક્ષેપને ફગાવે છે કે સરકારે સહમતિ વિના કાયદા બનાવ્યા તથા છેલ્લા બે દાયકાથી ખેતી બજારોને મુક્ત કરવાની ચર્ચાઓ થાય છે તેવું વલણ ધરાવી રહ્યા છે. તો MSPને વૈધાનિક કરવી અશક્ય છે તેવું પણ પ્રમોદ જોશીનું માનવું છે.
જોશી કહે છે કે સરકારે પોઈન્ટવાઈઝ ચર્ચાની તૈયારી રાખી પણ ખેડૂતોએ નકારી છે. ખેડૂતોને જ્યારે વધારે વિકલ્પો મળી રહ્યાં છે ત્યારે કાયદાનો વિરોધ ખોટો હોવાનો જોશીનો મત છે. તેઓનું માનવું છે કે, નવા કાયદાથી વચેટિયા અને વેપારીને નુકસાન છે ખેડૂતોને ફાયદો છે તથા નાના ખેડૂતો માટે બજારના વિકલ્પો ઉભા થશે.
પ્રમોદ જોશીના મતે અત્યારનું ભારતીય બજાર અસંગઠીત અને બિનકાર્યક્ષમ છે. નવા કાયદા હાલના બજાર અને નવા બજાર વચ્ચે સ્પર્ધા કરનારા છે અને નવા કાયદાથી રોજગારીનું સર્જન થશે અને ખેડૂતની આવક વધવાનો જોશીનો મત છે. જોશી માને છે કે પંજાબ-હરિયાણાના ખેડૂતો જે વિરોધ કરે છે તે ખેડૂત નહીં વેપારીઓ છે.
અનિલ ઘનવટનો કાયદા વિશે મત
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના શેતકારી સંગઠનના પ્રમુખ છે તથા સુપ્રીમકોર્ટે નિમેલી કમિટીના પણ અનિલ ઘનવટ છે. ઘનવટ માને છે કે સરકારે બનાવેલા નવા કાયદાઓમાં સુધારા જરૂરી છે. સુપ્રીમકોર્ટે કમિટી બનાવી તે નિર્ણયને ઘનવટે આવકાર્યો છે. આ સાથે જ ખેડૂતોને ઘનવટે આહવાન પણ કર્યું છે કે તમારી વાત કમિટી સુધી મુકો. તેમણે એવું પણ જણાવ્યું કે, જો ખેડૂતો વાત કરવા નહી આવે તો કમિટી તરીકે અમે તેમની સાથે વાત કરવા જઈશું.
અનિલ ઘનવટના મતે રાજકારણના હિતમાં નહીં પરંતુ ખેડૂતોના હિતમાં વિચારવું જરૂરી છે. આ સાથે ખેડૂત અને સરકારે તેમના મુદ્દાઓને ન વળગી રહેવું જોઈએ. ઘનવટના મત પ્રમાણે, નવા કાયદા બનાવતા પહેલા સરકારે ખેડૂત સંગઠનો સાથે વાત કરી નથી. તેમનું એવું પણ માનવું છે કે, ખેડૂતોમાં ગેરસમજ પેદા થઈ તેનું મુખ્ય કારણ સરકારે તેમને વિશ્વાસમાં ન લીધા તે છે અને જે ખેડૂતો MSP ઈચ્છે છે તેમને MSPની ગેરંટી સરકારે આપવી જોઈએ તેવું ઘનવટ માને છે.