જેલમાંથી બહાર આવ્યા બાદ સમર્થકોએ 'ભૈયા ઈઝ બેક'ના પોસ્ટર લગાવ્યા
તો સુપ્રિમ કોર્ટે આરોપીના જામીન રદ્દ કરી જેલમાં પાછો મોકલવાનો આદેશ કર્યો
મધ્યપ્રદેશના જબલપુરમાં દુષ્કર્મનો આરોપી જેલમાંથી બહાર આવ્યા બાદ 'ભૈયા ઈઝ બેક'ના પોસ્ટર શહેરભરમાં લગાવવામાં આવ્યા હતા. જેના પગલે સુપ્રિમ કોર્ટે આરોપીના જામીન રદ્દ કરીને તેને જેલ પરત મોકલવાનો આદેશ કર્યો છે. પીડિતાની અરજી પર ચુકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની બેન્ચે આરોપીને એક સપ્તાહની અંદર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો
મધ્યપ્રદેશમાં લગ્નના બહાને દુષ્કર્મના આરોપી અને ABVPના વિદ્યાર્થી નેતાને હાઈકોર્ટે જામીન આપ્યા છે. આ પછી તેમના સમર્થકોએ શહેરભરમાં 'ભૈયા ઈઝ બેક'ના પોસ્ટર લગાવ્યા હતા. આ પછી પીડિતાએ આરોપીના જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી
અગાઉની સુનાવણી પર ભારે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે 20 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો. ગુરુવારે આપેલા ચુકાદામાં કોર્ટે કહ્યું કે, આરોપીના સમર્થકો દ્વારા જે પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તે આરોપીના પ્રભાવને છતી કરે છે. સમાજમાં પીડિતા અને તેના પરિવાર પર તેની ખરાબ અસર પડશે.
બેશરમ વર્તનથી પીડિતામાં ભયનો માહોલ સર્જાયો હતો
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, આરોપીને બે મહિના પછી જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ પોસ્ટરોમાં એવું દેખાતું હતું કે જાણે જામીન પર પાછા ફરવાની ઉજવણી કરી રહ્યા હોય. આ નિર્લજ્જ વર્તણૂકથી પીડિતાના મનમાં ડર ઉભો થયો છે કે જો તે જામીન પર રહેશે તો ન્યાયી અને મુક્ત સુનાવણી નહીં થાય. કોર્ટે કહ્યું હતું કે, આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. પીડિતાના પિતાએ જબલપુર એસપીને એક મેમોરેન્ડમ પણ આપ્યું હતું. આવા કૃત્ય પર આરોપી જામીનની છૂટ મેળવવા માટે હકદાર નથી. અમે તેના જામીન રદ કરી રહ્યા છીએ.