સુપ્રીમ કોર્ટની બેન્ચે મેનહોલમાંથી ગટરની સફાઈ માટે નીચે ઉતરતા સફાઈ કામદારોની દયનીય હાલતની ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટએ જણાવ્યું હતું કે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ જ્ઞાતિવાદની બદી દેશમાં ચાલુ રહી છે જેનો સૌથી મોટો પુરાવો આ પ્રવૃત્તિ છે.
સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
સુપ્રીમ કોર્ટે ૨૦૧૮ના કેસના સંદર્ભમાં આ ટીપ્પણીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વિશ્વના કોઈ દેશમાં આ રીતે સફાઈ કામદારોને ગેસ ચેમ્બરમાં મરવા માટે મોકલી દેવામાં આવતા નથી. અહીં ઉલ્લેખનીય છે કે ગટરમાં હાઈડ્રોજન સલ્ફાઈડ, એમોનીયા વગેરે જેવા ભયજનક ઝેરી વાયુ ખુબ વધુ પ્રમાણમાં હોય છે અને ઓક્સીજનનું પ્રમાણ અત્યંત ઓછુ હોય છે. આવા અત્યંત વાસવાળા અને અંધારા વાતાવરણમાં ગટરના સફાઈ કામદારો કોઈ પ્રકારના સુરક્ષા ઉપકરણો પહેર્યા વગર ઉતરીને દીવાલોની સફાઈ કરે છે જેમાં ઘણા સફાઈકામદારો કરુણ મોતને ભેટે છે.
જસ્ટીસ અરુણ મિશ્રા, જસ્ટીસ MR શાહ અને જસ્ટીસ BR ગવઈના વડપણ હેઠળ બનેલી આ બેન્ચે રાજ્યના પક્ષના વકીલ એટર્ની જનરલ કે કે વેણુગોપાલને સખત પ્રશ્નોત્તરી કરી હતી. કોર્ટે પૂછ્યું હતું કે રાજ્ય તરફથી આ સફાઈ કામદારોને શા માટે સુરક્ષા માસ્ક અને ઓક્સીજન સીલીન્ડર આપવામાં આવ્યા ન હતા. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ દર મહીને ૪ થી ૫ સફાઈ કામદારો આ પ્રવૃત્તિમાં મૃત્યુ પામે છે.
કોર્ટ જણાવ્યું હતું કે આ અંગે દેશમાં કોઈ લો ઓફ ટોર્ટ (નુકશાનની ભરપાઈનો કાયદો) નથી. દેશમાં અસ્પૃશ્યતા અને આભડછેટની નાબુદીનો કાયદો વર્ષોથી લાગુ કરેલો છે. પરંતુ કોર્ટે એક ધારદાર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે કેટલા લોકો આ સફાઇ કામદારો સાથે હાથ મિલાવવા પણ તૈયાર થાય છે. તેમની સાથે આચરવામાં આવતી અસમાનતાનું મુખ્ય કારણ તેમની દયનીય પરીસ્થિતિ અને તેમને મળતી પ્રાથમિક સલવતોનો અભાવ છે.
અમદાવાદની સ્થિતિ
જો કે અમદાવાદમાં AMC દ્વારા ભવિષ્યમાં માઈક્રો ડ્રેનેજ લાઈનની રોબોટિક સિસ્ટમની મદદથી હવે માણસ વડે કરવામાં આવતી ગટરની સફાઈનો અંત લાવવામાં આવવાની યોજના છે. પરંતુ સવાલ એ છે સરકારમાં મોટી મોટી યોજનાઓ જાહેર થયા બાદ અનિર્ણાયક સંજોગોમાં કાગળ પર અટવાઈ જાય એ ખૂબ સામાન્ય ઘટના છે. આ સંજોગોમાં આ યોજનાનું અમલીકરણ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં પણ સફાઈ કામદારોએ આમ જોખમી અને સદંતર અમાનવીય રૂપે ગટરના મેનહોલમાં ઉતરીને સફાઈ કરવી પડશે.