જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370ને હટાવવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલે વહેલી સુનાવણીને લઇને ઇન્કાર કર્યો છે. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ આગળની તારીખ નક્કી કરશે અને જણાવશે ક્યારે સુનાવણી કરવામાં આવશે.
આ દરમિયાન કોર્ટે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલ એક સવાલ પણ પૂછ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે UN આપણા સંવિધાનમાં કરેલા ફેરફાર પર રોક લગાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો છે અને આ સાથે કલમ 370ને હટાવી દીધી છે.
કેન્દ્રની મોદી સરકારના આ નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં આ નિર્ણયને ગેરબંધારણીય બતાવ્યું હતું. ગુરૂવારે જ્યારે આ મામલો જસ્ટિસ એનવી રમન્નાની સામે આવ્યો ત્યારે તેમણે કેટલાંક સવાલો પૂછ્યાં અને જણાવ્યું કે તેઓ આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની સામે રાખશે. ચીફ જસ્ટીસની ખંડપીઠ આ મામલે સુનાવણીની તારીખ નક્કી કરશે.
સુપ્રીમ કોર્ટમાં વકીલે આ દરમિયાન જણાવ્યું કે પાકિસ્તાન આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવા માગે છે. જેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે જો પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં જાય છે તો શું ભારતના સંવિધાનમાં થયેલા ફેરફાર પર રોક લગાવી શકે છે? જેના પર વકીલે કહ્યું કે આમ નથી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવામાં આવ્યું છે કે સરકારે ધારા 370માં જે સંશોધન કર્યું છે તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. સરકારે આ મામલે પોતાની મનમાની કરી છે અને તે ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અરજી સિવાય એક બીજી પણ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં જમ્મૂ-કાશ્મીરમાં તરત કર્ફ્યુ હટાવવાની માગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સાવચેતીને લઇને હાલમાં શ્રીનગર, જમ્મૂ અને લદ્દાખના વિસ્તારમાં ધારા 144 લાગુ કરી છે. દરેક જગ્યા પર હાલમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યાં છે.