સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં એક મહિલાને નિર્દોષ છોડતા જણાવ્યું હતું કે કોઈના મૃત્યુ બાદ જો કોઈ વ્યક્તિ દુઃખ ન અનુભવતી હોય તો તેને ખૂનના પુરાવા તરીકે ન ગણી શકાય.
દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં પોતાના પતિના ખૂનના ગુના હેઠળ ૨૦ વર્ષથી વધુ સમયથી આજીવન કેદની સજા કાપી રહેલી મહિલાને નિર્દોષ છોડી દીધી હતી. આ મહિલા પોતાના પતિના મૃત્યુ બાદ પોતાના સગા સંબંધીઓ સાથે ચા પી રહી હતી અને પતિના મૃતદેહની પાસે બેઠી નહોતી. આ બાબતે તેને દોષી સાબિત કરી દેવાઈ હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નીચલી અદાલત અને પંજાબ હરિયાણા હાઈ કોર્ટની ગંભીર ભૂલ છે કે તેમણે મહિલાની નણંદના વિધાનના આધારે જ આ મહિલાને આજીવન કેદની સજા ફટકારી. ઉલ્લેખનીય છે કે મહિલાની નણંદે મહિલા પર આક્ષેપ મુક્યો હતો કે પતિના મોત પછી પણ મહિલા દુખી જણાતી નહોતી અને સામાન્ય વર્તન કરી રહી હતી. તેના પતિની લાશ ઘરના છાપરા ઉપરથી નીચેના સ્ટોરરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં તેની મોત આપઘાતથી નહિ પણ ખૂન કરીને કરવામાં આવી છે તે બહાર આવ્યું હતું. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે મૃત્યુના સમયે ફક્ત મહિલા જ ઘરમાં હાજર હતી આથી તેને દોષી સાબિત કરવામાં આવી.
આ ઘટના વર્ષ ૧૯૯૭માં પાંચકુલામાં બની હતી જેમાં મૃતક વ્યક્તિ બે દિવસ સુધી રહસ્યમયી રીતે ગાયબ થઇ ગઈ હતી અને પછી તેની લાશ સ્ટોરરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.
૧૯૯૮માં નીચલી અદાલતે ચુકાદો આપ્યો હતો કે આ મહિલા લગ્નેત્તર સંબંધો રાખતી હતી અને તેણે સંપત્તિ મેળવવા તેના પતિનું ખૂન કરી નાખ્યું. અદાલતે મહિલાના બે ભાઈઓને પણ દોષી ઠેરવીને જણાવ્યું કે મૃતક પતિને સૌપ્રથમ બે ભાઈઓએ મારી નાખ્યા બાદ તેની લાશને આપઘાતના ખપાવવા લટકાવી દેવાઈ.
તમામ આરોપીઓ આ ચુકાદા સામે હાઈકોર્ટમાં ગયા જ્યાં ૨૦૦૮માં હાઈકોર્ટે બંને ભાઈઓને નિર્દોષ છોડી દીધા જયારે મહિલાને દોષી ઠેરવી રાખીને તેની સજા કાયમ કરવામાં આવી. આ બંને અદાલતોએ તેના પતિના ભાઈ બહેનોના વિધાનોનો આધાર લીધો જેમાં તે પતિના મૃત્યુ પછી દુખી કે નાખુશ જણાતી નહોતી. સુપ્રીમ કોર્ટે આની ગંભીર નોંધ લઈને ટીકા કરતા જણાવ્યું કે આ વિધાનના આધારે આરોપીને પુરાવા વગર દોષિત સાબિત ન કરી શકાય.