ભારત દેશ એકવીસમી સદીમાં અને ગુજરાતનો જેટ ગતિએ વિકાસ છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઇ શક્યો.નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા હોય છે.સમાજમાં એવા કેટલાય કિસ્સો સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કા તો મહિલાની લાજ લૂંટાઈ હોય, કા તો મરણમૂડી ખોવી પડી હોય. ત્યારે દાહોદમાં ડાકણની શંકાએ પરિવારના સભ્યોનો હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે.
ડાકણની શંકાએ મેલી વિદ્યાનો આરોપ લગાવી દંપતી પર હુમલો
દાહોદના ડુંગરા ગામે અંધશ્રદ્ધામાં દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે. ડાકણની શંકાએ તથા ઘર આગળ મેલી વિદ્યા કરી હોવાનો આક્ષેપ કરી પરિવારજનો દ્વારા દંપતીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વૃદ્ધને માર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભત્રીજાએ પરિવારના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. દાહોદ રુરલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વીટીવી ગુજરાતીના સળગતા સવાલ
આજના આધુનિક યુગમાં આટલી અંધશ્રદ્ધા કેમ ?
વારંવાર બનતા આવા બનાવોને સરકાર કેમ અટકાવી શકતી નથી ?
હજુ કેટલા માસુમ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનશે ?
ભોગ બનનારનો શારીરિક ઉપચાર તો થઈ જશે પણ મનોસ્થિતિનું સમાધાન કયારે ?
ભોગ બનનારને મુખ્યધારામાં લાવવા માટે શું કરશે સરકાર ?
શું આવા લોકોને ફરીથી ગામ કે સમાજમાં પહેલા જેવુ માન કે સન્માન મળી શકશે ?
ભોગ બનનારના બંધારણીય હકોનું કોણ કરશે રક્ષણ ?
શિક્ષિત તથા સભ્ય સમાજની વાતો વચ્ચે આવો બનાવ કેટલો યોગ્ય ?
શા માટે સમાજમાં હજુ પણ આટલી અંધશ્રદ્ધા પ્રવર્તે છે ?
શું સભ્ય સમાજ માટે આ ઘટના યોગ્ય છે ?
શું સમાજ અને સરકારની કોઈ જિમ્મેદારી નથી ?
ક્યાં સુધી માસુમ લોકો આવી અંધશ્રદ્ધાના શિકાર થતા રહેશે ?
અંધશ્રદ્ધા કોઈક નો જીવ લેશે તો તેનું જિમ્મેદાર કોણ ?
અંધશ્રદ્ધા અંગે સરકાર કેમ કોઈ જાગૃતિ અભિયાન ચલાવતી નથી ?
આ પહેલા અંધશ્રદ્ધાના ઓઠાં હેઠળની વિધિમાં જીવ ગયો
દ્વારકા જીલ્લાના વચલી ઓખામઢી પાસે આવેલા એક મંદિરમાં 13 ઓકટોબરે એક કરુણ ઘટના ઘટી હતી .આરંભડા ગામની મનાતી 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરીણિતા પર વિધિ શરુ કરી હતી.દરમિયાન વિધિના નામે મહિલાને,ભૂવાએ સાંકળોથી મારી એટલું જ નહિ પણ પરીણિતાના શરીર અસંખ્ય ડામ પણ આપ્યા.આ દરમિયાન પરિણીતાનું મોત થઇ જવા પામ્યું હતું. કહેવાય છે કે, ધાર્મિક વિધિના નામે ખંડેર જેવા મંદિરમાં આ પરિણીતાને પરિવાર જ લઇ આવ્યો હતો. અને ભૂવાને તાંત્રિક વિધિ માટે કહ્યું હતું. આમ,વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો હતો.