ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની પૂછપરછ કરનારા પૂર્વ આઈઆરએસ અધિકારી બી.વી. કુમારે તેમના એક પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ડોન દાઉદ ઈબ્રાહીમ હકીકતમાં એક સામાન્ય દેખાવ ધરાવતો અને ડરપોક માણસ છે, જેણે કબૂલી લીધું હતું કે તે અનેક અપરાધમાં સામેલ હતો.
ભારતીય કસ્ટમ વિભાગના ‘સુપરકોપ’ તરીકે જાણીતા અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ (ડીજી) બી.વી. કુમારે આ ખુલાસો તેમના નવા પુસ્તક ‘ડીઆરઆઈ એન્ડ ધ ડોન્સ’માં કર્યો છે. કુમારના જણાવ્યા અનુસાર અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા એક ગુનેગાર રાશિદ અરબાએ તેમને દાઉદ ઈબ્રાહીમનાં પ્રારંભિક ઠેકાણાંની બાતમી આપી હતી. રાશિદ અરબાએ જાણીતા અભિનેતા દિલીપકુમારની બહેન સાથે લગ્ન કર્યાં હતાં.
બી.વી. કુમારના કહેવા પ્રમાણે અંડરવર્લ્ડ ડોન, ખાસ કરીને દાઉદ ઈબ્રાહીમ અને હાજી મસ્તાન પર પુસ્તક લખવાનો તેમનો આશય દક્ષિણ એશિયાની સૌથી ખૂંખાર ગેંગ વિરુદ્ધ શરૂઆતમાં કડક કાર્યવાહી કરવામાં ડીઆરઆઈના અદ્વિતીય યોગદાનને લોકોની સામે લાવવાનો છે.
ડીઆરઆઈ દાઉદ ઈબ્રાહિમની ધરપકડ કરી તેની પૂછપરછ કરનારી અને તેની વિરુદ્ધ કોફેપોસા (COFEPOSA) હેઠળ કેસ દાખલ કરનારી મુખ્ય એજન્સી હતી. કુમારનું કહેવું છે કે જ્યારે તેમણે જુલાઈએ ૧૯૮૩માં દાઉદની ધરપકડ કરી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની તત્કાળ સુનાવણી માટે એક અરજી દાખલ કરવામાં આવી હતી.
બી.વી. કુમારે કહ્યું કે એ વખતે ડોન દાઉદ ઈબ્રાહિમ તરફથી દેશના વરિષ્ઠ એડ્વોકેટ રામ જેઠમલાણી કોર્ટમાં હાજર રહ્યા હતા અને બાદમાં દાઉદને જામીન મળી ગયા હતા અને તે દુબઈ ભાગી ગયો હતો ત્યારથી દાઉદ ઈબ્રાહિમ ડીઆરઆઈ માટે કોફેપોસા હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં હજુ સુધી વોન્ટેડ છે. આ કેસ ખુદ બી.વી. કુમારે જ દાખલ કર્યો હતો.
‘ડીઆરઆઈ એન્ડ ધ ડોન્સ’ પુસ્તકના લેખક બી.વી. કુમાર આઈઆરએસ (ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ)ના એ જાંબાઝ અધિકારીઓમાંના એક છે, જે ડીઆરઆઈ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)નું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. તેમણે મુંબઈમાં અંડરવર્લ્ડની અનેક કુખ્યાત ગેંગને સબક શીખવ્યો હતો. કુમારના જણાવ્યા અનુસાર દાઉદ ઈબ્રાહીમ પ્રભાવશાળી વ્યક્તિત્વનો માલિક નથી, પરંતુ સાવ સામાન્ય દેખાવ ધરાવતો ડરપોક માણસ છે.