હાલમાં આખા દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન શબ્દ સાંભળ્યો એટલે લોકોમાં મૂંઝવણ-આક્રોશ-ડર વગેરે જેવી પ્રતિક્રિયાઓ ઉદ્ભવવા લાગી. લૉકડાઉન શબ્દ આપણે બધાંએ પહેલીવાર સાંભળ્યો. ચીન, ઇટાલી વગેરે દેશોમાં તેનું અમલીકરણ કરવામાં આવ્યું અને તેના પગલે આપણી સરકારે સમયસર ચેતી જઈને ભારતમાં પણ લૉકડાઉન આપી દીધું. હવે એમ વિચાર આવે કે આ લૉકડાઉન તો આપ્યું પણ એ ઉપરાંત આ મહામારીને નાથવા માટે સરકાર બીજા કયા પગલાં ભરી રહી છે, શું કરી રહી છે, કેવી રીતે તે નિર્ણયો લઈ રહી છે, નિર્ણયો પાછળ તર્ક શું છે વગેરે વગેરે પ્રશ્નો સાહજિક રીતે થાય. તો એનો જવાબ છે સ્પેશિયલ ત્રીસ કે સુપર થર્ટી.
વડાપ્રધાન મોદી ની દેખરેખ હેઠળ ત્રીસ ડૉક્ટરો અને વિજ્ઞાનીઓની એક ટીમ ઘડવામાં આવી છે. આ ટીમ દિવસરાત ખડેપગે કામ કરીને રજેરજ ક્ષણેક્ષણની માહિતી વડાપ્રધાનને પહોંચાડી રહી છે.
સુપર થર્ટીઃ કોરોના વાઇરસ સામે લડવા આ છે સરકારની ટીમ કોરોના વાઇરસની મહામારી સામે આપણા લોકોને બચાવવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ, કેવી રીતે આ મહામારીની સામે લડવું જોઈએ, લોકોને સુરક્ષિત રાખવા જોઈએ વગેરે મુદ્દાઓ પર આ ટીમ કામ કરી રહી છે. ટીમમાં ત્રીસ સભ્યો છે અને તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. એક ભાગનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય વી.કે. પોલ કરી રહ્યા છે તો બીજા જૂથની કમાન વડાપ્રધાનના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર કે.વિજયરાઘવનના હાથમાં છે.
૧૮ માર્ચે વીસ સભ્યોની ટીમ બનાવવામાં આવી અને તેનું નેતૃત્વ વી.કે. પોલને સોંપવામાં આવ્યું. ત્યાર બાદ ૨૧ માર્ચના રોજ કે. વિજયરાઘવનની આગેવાનીમાં અન્ય નવ સભ્યોની ટીમ બનાવવામાં આવી. બંને ટીમના સભ્યો સતત એકબીજા સાથે સંપર્કમાં રહે છે અને ક્ષણેક્ષણની માહિતીનું આદાનપ્રદાન કરી રહ્યા છે. આ માહિતીમાં દેશમાં કોરોના વાઇરસને કારણે પ્રવર્તી રહેલી સ્થિતિ અને તેની સામે લડવા માટેના સુઝાવો હોય છે. કોરોના વાઇરસના ચેપની સામે લડવા માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ, કઈ પોલિસીઓ ઘડવાની જરૃર છે વગેરે સૂચન આ ત્રીસ સભ્યોની ટીમ દ્વારા વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રાને આપવામાં આવે છે અને મિશ્રાજી વડાપ્રધાન મોદીને સમગ્ર માહિતી પહોંચાડે છે. વડાપ્રધાન પોતે પણ કોરોના વાઇરસના સંકટની સામે લડવા માટે સતત કાર્યરત છે અને ટીમ પાસે જરૃરી સૂચનો મગાવે છે, તેમજ જરૃરી સુઝાવો પણ આપે છે. કેટલીકવાર વડાપ્રધાન પોતે પણ ટીમની સાથે સીધો સંપર્ક સાધે છે.
જો વાત કરીએ લૉકડાઉન પૉલિસીની તો લૉકડાઉન પોલિસીનું સૂચન કરનારી ટીમને કોરોના ટાસ્ક ફોર્સનું નામ આપવામાં આવ્યું છે. વી.કે. પોલની અધ્યક્ષતામાં એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં હેલ્થ સેક્રેટરી પ્રીતિ સુદાન, એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, આઇસીએમના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ અને પબ્લિક હેલ્થ એક્સપર્ટ તેમજ અન્ય કેટલાક લોકોનો સમાવેશ થાય છે.
આ લોકોએ જ સરકારને કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા અને દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે લૉકડાઉન નું સૂચન કર્યું હતું. આ ઉપરાંત કોરોના ટાસ્ક ફોર્સમાં વિજ્ઞાની અને આઇસીએમઆરના ચેપી રોગ નિષ્ણાત ડૉક્ટર રમણ ગંગાખેડકર તેમજ ડૉ. નિવેદિતા ગુપ્તાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસના સંદર્ભમાં સરકાર તરફથી જ પત્રકાર પરિષદ સંબોધવામાં આવે છે, તેની બાગડોર આ બે નિષ્ણાતોએ સંભાળી છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાક સભ્યો છે, જે ખડેપગે કામ કરી રહ્યા છે.
એક દિવસના લૉકડાઉન , કોરોના વાઇરસને કારણે દેશમાં સર્જાયેલી સ્થિતિ, આવનારા દિવસોમાં વિકટ પરિસ્થિતિ સર્જાય તેનો ક્યાસ, મહામારી સામે લડવાનાં પગલાં, વાઇરસના શિકાર થયેલા લોકોના ડેટા, તેનું વિશ્લેષણ, જરૃરી આંકડાકીય માહિતીઓ ઉપર આ એકવીસ લોકોની ટીમ કામ કરી રહી છે. આ ઉપરાંત જે બીજું જૂથ છે, જેની અધ્યક્ષતા વી.કે. પોલની સાથે કે.વિજયરાઘવન કરી રહ્યા છે તે ટીમ મેડિકલ સાયન્સને લગતા મુદ્દાઓ પર કામ કરી રહી છે અને વિશ્લેષણને આધારે સરકારને પોતાના સૂચનો કરે છે. કોરોના વાઇરસ સામે લડવા માટે ઘડાયેલી આ ટીમમાં આઇસીએમઆરના સંશોધકો છે, વિજ્ઞાનીઓ છે, સાયન્સ એન્ડ ટૅક્નોલોજી, બાયોટૅક્નોલોજી, સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.