કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનને લઇને એક્ટર નેતા સની દેઓલે રવિવારે સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું છે. ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓએ કહ્યું હતું કે, સરકાર હંમેશા ખેડૂતોના સંદર્ભમાં વિચારે છે અને પાર્ટી ખેડૂતોની સાથે જ છે. કેન્દ્રએ હંમેશા ખેડૂતાના વિકાસ વિશે જ મંથન કર્યું છે.
ખેડૂતોના વિરોધને લઇને અભિનેતા સની દેઓલ આવ્યા મેદાન
કહ્યું- સરકાર હંમેશા ખેડૂતોના સંદર્ભમાં વિચારે છે
આ ખેડૂતોનો અને અમારી સરકારનો મુદ્દો છે, કોઇ વચ્ચે ન પડો
સની દેઓલે પોતાના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે કહ્યું- હું આખી દુનિયાને પ્રાર્થના કરું છું કે આ ખેડૂતોનો અને અમારી સરકારનો મુદ્દો છે. આ બંને વચ્ચે ન આવો, કારણ કે ખેડૂત અને સરકાર એકબીજા વચ્ચે વાત કર્યા પછી કોઈ રસ્તો શોધી કાઢશે.
કેટલાક લોકો લાભ લેવાનો કરી રહ્યા છે પ્રયાસ
આ સાથે જ સની દેઓએ એમ પણ કહ્યું હતું કે, હું જાણું છું કે કેટલાક લોકો આનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને સમસ્યાઓ ઉભી કરી રહ્યાં છે. આ લોકો ખેડૂતો વિશે વિચારતા નથી. તેમની પાસે પોતાનો એજન્ડા છે.
તેમણે પોતાના જૂના સાથી અને એક્ટિવિસ્ટ દીપ સિંધુના નિવેદન અંગે પણ સ્પષ્ટતા કરી હતી. દીપ સિંધુએ આંદોલનના પગલે ખાલિસ્તાનની માંગને યોગ્ય ઠેરવી હતી. હરિયાણા પોલીસ અધિકારી સાથે તેની વાતચીતનો વીડિયો પણ વાયરલ થયો હતો. સની દેઓલે કહ્યું - દીપ સિંધુ, જે ચૂંટણીમાં મારી સાથે હતા, તે હવે ઘણા લાંબા સમયથી મારી સાથે નથી. તે જે પણ બોલે છે, તેનો પોતાનો દ્રષ્ટિકોણ છે. અમારી સરકાર અને પાર્ટી ખેડૂતોની સાથે છે અને મને વિશ્વાસ છે કે વાતચીત દ્વારા સાચો રસ્તો મળશે.
8 ડિસેમ્બરે ભારત બંધનું ખેડૂતોએ આપ્યું છે એલાન
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરૂદ્ધમાં ખેડૂતો સતત પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચમી બેઠક યોજાઇ હતી. જો કે, આ પહેલા જ ખેડૂતોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપી દીધું છે.
અન્ય રાજ્યોના ખેડૂતોએ પણ કર્યું સમર્થન
માધ્યમો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે પાર્ટી કાર્યલય પર પણ વિરોધ કરીશું. રાહુલ ગાંધીનું આ પગલુ ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત કરશે. અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે, પ્રદર્શન સફળ રહેશે. જણાવી દઇએ કે, બીજા રાજ્યોના ખેડતોએ પણ ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. કર્ણાટકના ખેડૂતોએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
આપ પાર્ટીએ આપ્યું સમર્થન
આમ આદમી પાર્ટીએ પણ ભારત બંધને પોતાનુ સમર્થન આપ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના આહ્વાન પર તમામ રાજ્યોમાં આપના કાર્યકરો ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવશે. દિલ્હીના રાજ્ય કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે, આ લડત ખેડૂતોની નહીં પરંતુ દેશ માટે છે.
TRSએ ભારત બંધને કર્યું સમર્થન
બીજી તરફ, ટીઆરએસ દ્વારા 8 ડિસેમ્બરના રોજ ખેડૂતોના ભારત બંધના એલાનને પોતાનો ટેકો આપવાની જાહેરાત કરી છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિએ રવિવારે કેન્દ્રના વિવિધ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ 8 ડિસેમ્બરે ભારત બંધને ટેકો આપ્યો છે.
દક્ષિણ ભારતમાં પણ કેટલાક પક્ષોએ ભારત બંધને આપ્યો ટેકો
બીજી તરફ, તામિલનાડુમાં વિરોધી પક્ષોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું સમર્થન કર્યું હતું. DMK, કોંગ્રેસ, CPI (M), CPI, VCK, MDMK અને સાથીઓએ ખેડૂતોના વિરોધને ટેકો આપ્યો છે.