અયોધ્યામાં મસ્જિદ નિર્માણમાં ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડ દ્વારા બનેલ ઇંડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટને પહેલું દાન એક હિન્દુ તરફથી મળ્યું છે.
ટ્રસ્ટના સચિવ અતહર હુસૈને કહ્યું કે શનિવારે 21 હજાર રૂપિયાના દાનનો પહેલો ચેક લખનૌના રોહિત શ્રીવાસ્તવે જમા કરાવ્યો છે.
રોહિત શ્રીવાસ્તવે આ દાન આપીને હિંદુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રીવાસ્તવ લખનૌ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી તરીકે કામ કરે છે. આ પહેલા ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટે કહ્યું હતું કે વીજ ચોરી, ટેક્સ ચોરી, જમાખોરી, લાંચ, ચોરી, કાળું ધન જેવા રૂપિયાને આ દાનમાં કોઈ પણ રીતે સ્વીકારવામાં નહીં આવે.
શ્રીવાસ્તવ ટ્રસ્ટના કાર્યાલયમાં ગયા હતા. તેઓએ ઇંડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સચિવ અને પ્રવક્તા અતહર હુસૈન અને ટ્રસ્ટી મહોમ્મદ રાશીદ સાથે મુલાકાત કરી હતી. અતહર હુસૈને આ દાનને ગંગા જમુની તહેઝિબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. અયોધ્યાના ભવ્ય રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટને દેશ વિદેશથી દાન મળી રહ્યું છે.
આ મસ્જિદ આધુનિક આર્કિટેક્ચર ડિઝાઇનથી બનેલી હશે. મસ્જિદની ડિઝાઇન જામિયા મિલિયા ઇસ્લામિયાના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ વડે તૈયાર કરવામાં આવશે. 5 એકર જમીનમાં એક મોડર્ન ડિઝાઇનની મસ્જિદ, એક હોસ્પિટલ, એક ઇંડો ઇસ્લામિક રિસર્ચ સેન્ટર અને એક રસોઈઘર હશે.