અયોધ્યામાં 5મી ઓગસ્ટે શ્રીરામ મંદિરની ભૂમિ પૂજા-અર્ચના સાથે જ કોમી એખલાસ અને સંવાદિતાનું વાતાવરણ સર્જાશે. રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમના આમંત્રિતોની સૂચિમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકી, અયોધ્યાના સમાજસેવી પદ્મ શ્રી મોહમ્મદ શરીફ, બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીનો સમાવેશ થાય છે.
કોર્ટમાં કેસ લડવા પણ આ હિંદુ મુસ્લિમ મિત્રો સાથે જ જતા
નોંધનીય છે કે ઇકબાલ અન્સારીના પિતા હાતિમ અન્સારી ફક્ત બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર જ નહીં પણ રામમંદિર આંદોલનના આગળ પડતા નેતા રામચંદ્ર પરમહંસના નજીકના દોસ્ત પણ છે. તેમના બંને વચ્ચે એટલી ગાઢ મિત્રતા છે કે તેઓ કોર્ટમાં આ મુદ્દાનો કેસ લડવા પણ સાથે જતા હતા.
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ સામેલ થઇ શકે છે
આ તરફ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તો મસ્જિદના પક્ષમાં શરૂઆતથી જ હતા અને રામમંદિરના વિરુદ્ધમાં કેસ લડી રહ્યા હતા. આમ છતાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ જફર ફારુખીને રામમંદિરના ભૂમિ પૂજનના અતિથિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
મહોમ્મદ શરીફને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું
આ ઉપરાંત અયોધ્યાના સમાજસેવક અને અજાણી લાશોના મસીહા કહેવાતા મહોમ્મદ શરીફ ખિડકી અલી બેગમાં રહે છે. તેમને કેન્દ્ર સરકારે 2020માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહોમ્મદ શરીફ અત્યાર સુધી 5000થી વધુ અજાણી લાશોના અંતિમ સંસ્કાર કરી ચુક્યા છે.
આ ઉપરાંત સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે શ્રીરામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજનમાં તમામ ધર્મો, પંથો, સંપ્રદાયો, સનાતન ધર્મના શંકરાચાર્ય ઉપરાંત સૂફી સંપ્રદાયના પ્રમુખોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ યાદીમાં ઇસાઈ, જૈન, મુસ્લિમ, બૌદ્ધ જેવા ધર્મના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ તમામને ફોન કરીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.