ફેમસ કોમેડિયન કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે થયેલી લડાઇ જાણે આજે પણ તાજી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ આવેલી વૅબ સિરીઝ તાંડવમાં સુનિલના પફોર્મન્સને લઇને વાહ વાહ થઇ રહી છે ત્યારે ફરી એક વાર કપિલ વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો સુનિલે ખુબ જ શાંતિથી જવાબ આપ્યો હતો.
કપિલથી નારાજગી
સુનિલને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તે હજુ પણ કપિલથી નારાજ છે, તેના જવાબમાં ગ્રોવરે કહ્યું કે, હું કપિલથી નારાજ થઇ જ ન શકું. તે ખુબ જ મજાકીયા સ્વભાવનો વ્યક્તિ છે અને કોઇ તેનાથી નારાજ રહી શકે નહી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને કપિલમાં શું ગમે ત્યારે એક્ટરે જવાબ આપ્યો કે કપિલની હાજરજવાબી ખુબ પસંદ છે.
2017માં થયો હતો ઝઘડો
કપિલ અને સુનીલ વચ્ચે 2017માં ઝઘડો થયો હતો જ્યારે કપિલની ટીમ ઓસ્ટ્રેલિયાથી એક શો કરીને પરત ફરી રહી હતી. આ દરમિયાન જ સુનીલ અને કપિલ વચ્ચે ફ્લાઇટમાં ઝઘડો થઇ ગયો હતો. બાકીના ટીમ મેમ્બર્સ વચ્ચે પડ્યા હતા અને તે બાદ જ સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. કહેવામાં આવે છે કે સલમાન ખાને પણ બંને વચ્ચે મેળ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મેળ પડ્યો ન હતો.
તાંડવના પ્રમોશનમાં વ્યસ્ત સુનીલ
સુનીલે હાલમાં જ આવેલી વૅબ સિરીઝ તાંડવમાં દમદાર રોલ કર્યો છે. હાલમાં તે તાંડવના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ સિરીઝને લઇને વિવાદ પણ ઉભો થઇ ગયો છે. મેકર્સ પર આરોપ છે કે તેમણે હિન્દુ લોકોની ભાવનાને દુભાવી છે.