અમદાવાદઃ દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. લોકોના બેફામ ડ્રાઇવિંગ અને રોમિયોગીરીના કારણે કેટલાક અકસ્માતો બને છે. તો કેટલાક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કારણે અકસ્માત સર્જાય છે. લોકોમાં અકસ્માતને લઇ ખુબજ બેદરકારી છે. અનેક પરિવારો અકસ્માતોના ભોગ બન્યા છે છતા લોકોમાં અકસ્માતને લઇ જાગ્રૃતતા નથી આવી. ચેતી જજો... આ અકસ્માત એક દિવસ ભરખી જશે...
જેતપુરઃ યુવક ટ્રેન નીચે કચડાયો
રાજકોટના જેતપુરમાં ટ્રેનમાં કચડાતા એક યુવકનું મોત થયું હતું. જેતપુરના નવાગઢ રેલ્વે સ્ટેશન ઉપર આ ઘટના બની હતી. વેરાવળ તરફ જતી ટ્રેનમાં મૃતક જૂનાગઢ પરિક્રમામાં જવા માટે જઈ રહ્યો હતો. યુવક નાવગઢ રેલવે સ્ટેશન પર પાણી ભરવા ઉતર્યો હતો. જ્યા ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસ્યો હતો અને જેને લઈને યુવક ટ્રેન નીચે કચડાયો હતો. મહત્વનું છે કે ગિરનારની લીલી પરિક્રમાને લઈને ટ્રેનોમાં ખાસ ટ્રાફિક રહે છે એવામાં અકસ્માત સર્જાવાની સંભાવના વધી જાય છે.
વલસાડઃ બેફામ ટ્રકે 2નો ભોગ લીધો 2ના મોત
વલસાડમાં પુરઝડપે ઝડપે ધસી આવેલી ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. બેફામ ઝડપે આવતી ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. એક જ પરિવારના બે સભ્યોના મોત થતા ચકચાર મચી હતી. તો અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ટ્રકને ઘટના સ્થળ પર છોડીને જ ફરાર થયો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
વડાલીઃ બુલેટ સવારનું ધટનાસ્થળે મોત
સાબરકાંઠામાં ઈડર-અંબાજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. વડાલીના વિવાહ પાસે સર્જાયેલા કાર અને બુલેટ વચ્ચેના આ અકસ્માત માં બુલેટ સવારનું ધટનાસ્થળે જ મોત થયું હતું. તો બાઇક સ્લીપ થતા બુલેટમાં અચાનક આગ લાગી હતી અને આ આગમાં બાઇક સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. તો બાઇકચાલક ડૉ. ભરત પટેલનું અકસ્માતમાં મોત થયુ હતું.
નવસારી-સુરત હાઇવેઃ અચાનક શોર્ટસર્કિટ થતા વાનમાં લાગી આગ
નવસારી-સુરત હાઇવે પર જઇ રહેલ વાનમાં અચાનક શોર્ટસર્કિટ થતા વાનમાં આગ લાગી હતી. વાનમાં પરિવાર નવસારીથી સુરત જતો હતો ત્યારે આગ લાગી હતી. પરિવાર નીચે ઉતરતાની બે સેકન્ડમાં કારમાં બ્લાસ્ટ થયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. નવસારી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું.