છેલ્લાં ઘણા સમયથી સહકારી ક્ષેત્ર અને વિવાદ બન્ને એકબીજાના પર્યાય બની ગયા છે. ત્યારે સુરત ખાતેની સુમુલ ડેરીનો વિવાદ પણ હવે વકરતો જાય છે. સુમુલ પર ચડેલા દેવાના ભારણને લઈને સુમુલના એમ.ડી અને ડાયરેક્ટર વચ્ચે વિખવાદ વધી રહ્યો છે.
સુરત ખાતેની સુમુલ ડેરીનો વિવાદ ફરી પાછો સપાટી પર આવ્યો છે. સુરત ખાતે છેલ્લા 30 વર્ષથી કાર્યરત સુમુલ ડેરી છેલ્લા ચાર વર્ષથી 1 હજાર કરોડના દેવામાં હોવાનો આક્ષેપ સુમૂલના એક ડાયરેક્ટર જયેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના આક્ષેપ મુજબ જ્યારથી નવુ શાસન સુમુલમાં આવ્યું છે ત્યારથી વહીવટી અણઆવડતને કારણે ડેરી ઉદ્યોગ ફડચામાં જઇ રહ્યો છે. એટલું જ નહીં, સુમુલ 1 હજાર કરોડના દેવા સામે દૈનિક 30 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી રહી છે.
જોકે, સુરતની સુમુલ ડેરીના વહીવટીતંત્ર પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ આક્ષેપને સુરત સુમુલ દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે. સુરત સુમુલના કહેવા પ્રમાણે આ તમામ આરોપો પાયાવિહોણા છે અને સુમુલના દેવાની વાત તો દૂર રહી સુમુલ પાસે પડેલા સ્ટોકની સામે સુમુલે પોતે લોન લીધેલી છે.
સુમુલના વિવાદનું કારણ માત્ર લોન જ નથી. ભારે વ્યાજ ચૂકવવાને કારણે પશુપાલકોને દૂધના ભાવ વધુ નથી મળી રહ્યા. આ ઉપરાંત છેલ્લા કેટલાંય સમયથી દૂધના ભાવો જે પશુપાલકોને ચૂકવવામાં આવે છે તે ભાવોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત ગ્રાહકો સુધી આ દૂધ જે પહોંચે છે તે બીજા શહેરો કરતા વધુ ભાવે વેચવામાં આવે છે. આ પ્રકારના આક્ષેપો સુમુલ ડાયરેક્ટર દ્વારા કરવામા આવી રહ્યા છે. તો તેની સામે પશુપાલકોને આપવામાં આવતા ભાવ બાબતે પણ સુમુલ એમ.ડી. દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે દૂઘની આવક વધુ હોય તે સમયમાં ખરેખર ભાવ ઓછા થાય છે.