વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને મહેસાણા કોર્ટનું સમન્સ.
વિપુલ ચૌધરી સામે દૂધ સાગર ડેરીનું સાગર દાણ કૌભાંડ મામલો
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટે સમન્સ પાઠવ્યું
વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે હવે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને 6 ઓક્ટોબરના રોજ મહેસાણા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ, બંને જણાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા#ShankersinhVaghela#ArjunModhwadia
બંનેએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા લખ્યા હતા ભલામણ પત્ર
6 ઓક્ટોબરના રોજ મહેસાણા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે બંને જણાને સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું એ અરસામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા એમ બંને જણાએ ભલામણ પત્ર લખ્યા હતા. આથી, બંનેને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતા 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી ઉપર NDDBના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ છે. સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાંકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જ્યાર બાદ ગઇકાલે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આથી તારીખ 23 સપ્ટેમ્બર બપોરના 12 વાગ્યા સુધી વિપુલ ચૌધરી પોલીસ રિમાન્ડમાં રહેશે જે દરમિયાન 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરાશે.
આ મામલે ACBના ઝોનલ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે નિવેદન આપતા કહ્યું હતું કે, 'તપાસ મુજબ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ જણાવ્યા અનુસાર 800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. આ કેસમાં વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.'
વિપુલ ચૌધરીની ધરપકડને લઇ ચૌધરી સમાજમાં રોષ
બીજી તરફ વિપુલ ચૌધરીની ધરપકડને લઇ ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ધરપકડના વિરોધમાં રાજીનામાંનો દોર ચાલુ થઈ ગયો છે. ખેરાલુ તાલુકા ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં પડ્યા. જુદા-જુદા મોરચાના હોદ્દેદારોએ ભાજપને અલવિદા કહ્યું છે.
કેવી રીતે આચર્યું છે સમગ્ર કૌભાંડ?
વિપુલ ચૌધરી 2005માં દૂધસાગર ડેરીમાં ચેરમેન હતા ત્યારે 2005 થી 2016 સુધીના સમયગાળા દરમ્યાન આર્થિક ગેરરીતિ આચરી હતી, મહેસાણા ACB દ્વારા અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે. સરકારના નિયમનું ઉલ્લંઘન કરી વિપુલ ચૌધરીએ મિલ્ક કુલરની ખરીદી કરી હતી. ટેન્ડર પ્રક્રિયા વગર 485 કરોડનું બાંધકામ કરાવ્યું હતું. દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી હટાવાયા હતા પણ કાનૂની લડાઈ લડવા તે દૂધ સાગર ડેરીના ચોપડે ખર્ચ કર્યો હતો. તેમજ બારદાનની ખરીદી કરી રૂ.13 લાખની ગેરરીતિ આચરી હતી. દૂધસાગર ડેરીના પ્રચાર માટે પણ કૌભાંડ કરી નાખ્યું હતું. અલગ અલગ 31 કંપનીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું અને ખોટી કંપનીઓ બનાવીને કરોડોનું ટ્રાન્જેક્શન કર્યું હતું.