વડોદરા: ઉનાળાની શરૂઆતમાં જ વડોદરાવાસીઓ પર પાણીકાપ ઝિંકાયો છે. નર્મદાની લાઇનમાં લીકેજ થતાં બે દિવસનો પાણીકાપ મુકવામાં આવ્યો છે. નર્મદાની કેનાલ નીચેથી પસાર થતી હોવાથી પાઇપમાં લીકેજ થયું છે. જોકે બાયપાસ કનેક્શન કરવાની કામગીરીને લઇને શહેરમાં પાણીકાપ મુકાયો છે. 27 અને 28 માર્ચે સવારે પાણીકાપ રહેશે. અને 29 માર્ચથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગરમીનો માહોલ જામી પડ્યો છે અને ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો છે ત્યારે વડોદરાના તંત્ર દ્વારા પાણીકાપ મુકવામાં આવતા નગરજનો વ્યાકુળ થઇ ઉઠ્યા છે. આ સાથે નર્મદાના નીર પણ દિવસેને દિવસે ઘટી રહ્યા છે ત્યારે આગામી 27 અને 28 માર્ચના રોજ સવારે પાણીકાપ મુકાયેલ છે.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ રાજ્યના અન્ય શહેરોમાં પણ પાણીકાપ મુકવામાં આવ્યો છે તથા રાજ્યના ખેડૂતોને પણ યોગ્ય પ્રમાણમા પાણી નહીં મળતા તેઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે રાજ્ય સરકાર પ્રજાને યોગ્ય પ્રમાણમાં પાણી આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.