સુખબીર સિંહે બાદલે જણાવ્યું કે પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા જોઈએ અને ભારત જેવા વિવિધતાસભર દેશમાં આપણે એક એવા પીએમની જરુર છે કે જેઓ પોતાનો વિચાર થોપવાને બદલે પરિસ્થિતિને હેન્ડલ કરી શકે.
પીએમ મોદી સંકુચિત વિચાર ધરાવતા વ્યક્તિ-બાદલ
બાદલે કહ્યું કે પીએમ મોદી સંકુચિત વિચાર ધરાવતા વ્યક્તિ છે. તેઓ તેમના નિર્ણયમાં ખૂબ જડવાદી છે. તેઓ તેમનો એક પણ નિર્ણય પાછો ખેંચવાના પક્ષમાં હોતા નથી. જે લોકશાહી માટે અયોગ્ય છે. લોકશાહીમાં તો હમેંશા આપ-લેની સ્થિતિ રહેતી હોય છે. જડવાદી માનસિકતા તો તાનાશાહીમાં હોય છે. ભારત જેવા વિવિધતાસભર દેશમાં આવું શક્ય નથી.
લોકોને અંધારીય કૂવા તરફ ધકેલવામાં આવે છે ત્યારે તેમની પાસે ઝઝૂમવા સિવાય બીજો કોઈ આરો બચતો નથી
જ્યારે અમે સરકારમાં હતા ત્યારે અમે તેમને કહ્યું હતું કે આ એક સામૂહિક ચળવળ છે લોકો પાછા જવાના નથી કારણ કે આ તો તેમની આજીવિકાનો સવાલ છે. ખેડૂતોને પાકા પાયે ખાતરી છે કે આ કાયદાથી તેમની જમીન અને રોજગારી છીનવાઈ જશે. જ્યારે લોકોને અંધારીય કૂવા તરફ ધકેલવામાં આવે છે ત્યારે તેમની પાસે ઝઝૂમવા સિવાય બીજો કોઈ આરો બચતો નથી. આને કારણે જ ખેડૂત આંદોલન લાંબુ ચાલ્યું છે. ખેડૂત આંદોલન એકમાંથી બીજા રાજ્યમાં ફેલાયું છે અને તે વિસ્તરવાનું ચાલું જ છે. ખેડૂતોના મનમાં તો બસ એક જ વાતનું રટણ ચાલી રહ્યું છે અને તે એ કે 3 કાયદા પરત ખેંચવામાં આવે.