અમદાવાદમાં સાસરિયા પક્ષે ત્રાસ આપવાના કારણે રુહી નામની યુવતીએ આપઘાત કર્યો, આ મામલે પોલીસે રુહીના પતિ કમલ ગુલવાણી અને જેઠ રાહુલ ગુલવાણીની પોલીસે ધરપકડ કરી
દહેજની લાલચે વધુ એક યુવતીનો લીધો જીવ
22 વર્ષીય રુહીએ કંટાળીને કર્યો આપઘાત
7 મહિના પહેલા જ થયા હતા લગ્ન
અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં 22 વર્ષીય યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષે ત્રાસ આપવાના કારણે રુહી નામની યુવતીએ આપઘાત કર્યો. આ મામલે પોલીસે રુહીના પતિ કમલ ગુલવાણી અને જેઠ રાહુલ ગુલવાણીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રુહી અને કમલ એક બીજાને સ્કૂલના સમયથી ઓળખતા હતા અને બન્ને એક બીજા સાથે પ્રેમ કરતા હતા. બન્નેના પરિવારજનોએ લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે ડિસેમ્બર 2020માં રુહી અને કમલના લગ્ન થયા હતા.
લગ્ન થયાના થોડા દિવસ બાદથી જ સાસરિયા પક્ષના લોકો રુહીને પરેશાન કરતા હતા. લગ્ન બાદ રુહીના સાસરિયા પક્ષે અલગ અલગ ડિમાન્ડ કરીને 14 લાખ રૂપિયાનું દહેજ પણ લીધુ હતી. સાસરિયા પક્ષના લોકો રૂપિયા માગતા હતા અને આ તરફ રુહીના માતા-પિતા દીકરીની ખુશી માટે રુપિયા આપતા જતા હતા. ત્યારે કંટાળીને 3 દિવસ પહેલા રુહીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ મામલે રુહીના માતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં રુહીના પતિ, જેઠ, સસરા અને જેઠાણી સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને પતિ કમલ અને જેઠ રાહુલની ધરપકડ કરી છે. જોકે હજુ પણ જેઠાણી સ્વરા અને સસરા સુનિલ ફરાર છે.