ન્યૂ મણિનગરમાં રહેતા રહીશે વ્યાજના રૂપિયા મૂડી સાથે ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતાં ફિનાઈલ પી આપઘાત કરવાની કોશિશ કરી છે.
વ્યાજખોરોના ત્રાસથી શહેરમાં આપઘાતની ઘટના વધી!
પઠાણી ઉઘરાણીના કારણે દૂધના વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ
મૂળ રકમથી વધુ વ્યાજ આપ્યા પછી પણ ફોન પર ધમકી
શહેરમાં વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળીને કેટલાક લોકોએ આપઘાત કરી લીધો છે. તો કેટલાક લોકો પોતાનું ઘર છોડીને જતાં રહ્યા હોવાના અંસખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ લાલઆંખ કરતી હોવા છતાંય તેઓ પોતાના વ્યાજનું સામ્રાજ્ય બેખૌફ ચલાવી રહ્યા છે.
ગઇકાલે ન્યૂ મણિનગરમાં રહેતા રહીશે વ્યાજના રૂપિયા મૂડી સાથે ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતાં ફિનાઈલ પી આપઘાત કરવાની કોશિશ કરી છે. વ્યાજખોરોએ કહ્યું કે, પૈસા આપી જ નહીંતર તારી છોકરીને ઘરે મૂકી જા આમ કહીને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી છે. ન્યૂ મણિનગરના વૈકુંઠ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાએ 6 જેટલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મહિલા અગાઉ હાટકેશ્વર નજીક એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. ત્યાં તેમના પતિ દૂધનો વેપાર કરે છે. આજથી ત્રણ મહિના પહેલાં મહિલાના પતિ સુજિતભાઈએ કહ્યું કે, મેં ધંધા અર્થે આજથી દોઢ વર્ષ પહેલા કદીરભાઈ મુદ્દલિયાર પાસેથી ટુકડે-ટુકડે 10 ટકાના વ્યાજે દસ લાખ રૂપિયા લીધા હતા. તેમને મેં મૂડી કરતાં પણ વધારે વ્યાજ આપ્યું છે.
તેમના ભાઈ મણિભાઈ પાસેથી પંદર મહિના પહેલાં દસ ટકાના વ્યાજે બાર લાખ રૂપિયા લીધા હતા. તેમજ અન્ય પાસેથી પણ દસ ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા, અને આ તમામને મૂડી કરતાં પણ વધારે પૈસા આપી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરે છે. ફોન કરીને હાથપગ તોડી નાખવાની ધમકી આપીને કહે છે. પૈસા આપી દેજે નહીંતર તારી છોકરીને મારા ઘરે મૂકી જા.
ગઈકાલે સુજિતભાઈએ પત્નીને કહ્યું કે મારા મિત્રનું અવસાન થયું છે. તો અંતિમ વિધિમાં જઈને આવું છું. આમ કહીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ મહિલાના પાડોશીએ જાણ કરી કે, સુજિતભાઈએ વૈકુંઠ દર્શન ખાતે ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. અને તેમની બાજુમાં એક ચીઠ્ઠી પડી છે. જેથી મહિલાએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને પતિને સારવાર અર્થે હોસ્પિટલ લાવ્યાં હતાં. સારવાર દરમિયાન મહિલા તમામ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.