કચ્છ: નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામે હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે માતાએ પોતાના બે બાળકોને ખોળામાં બેસાડીને ઘરનો દરવાજો બંધ કરી શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું જેમાં બે માસૂમના કરુણ મોત નિપજ્યા હતા જ્યારે માતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે મહિલા સામે પુત્રોની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસસૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. કોટડા રોહા ગામે રહેતા ર૩ વર્ષીય મીનાબા કરણસિંહ સોઢાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર અઢી વર્ષના ધૈર્યરાજ અને ચાર માસના લક્ષરાજ નામના બે પુત્રોને પોતાના ખોળામાં બેસાડીને ઘરનો દરવાજો બંધ કરી અગ્નિસ્નાન કરી લઇ આપઘાત કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી જવાને કારણે બે પુત્રોના મોત નિપજ્યા હતા. જ્યારે મીનાબાને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી હાલતમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે નખત્રાણા પોલીસે અકસ્માત મોત અને મીનાબા સામે બે પુત્રોની હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં મીનાબાએ આવેગમાં આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પોલીસને જણાવ્યું છે.આપઘાત કરવા પાછળના કારણો જાણવા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
મીનાબાના પતિ કરણસિંહ ખાનુભા સોઢાના કહેવા મુજબ શુક્રવારે સવારે તેમની ૩પ જેટલી ભેંસના તબેલા પર કામે ગયાં હતાં. બપોરે જમવા માટે આવ્યા અને જમીને અઢી વાગ્યે પરત વાડીએ ગયા હતાં. ત્યાં કામ કરીને સાંજે સાતેક વાગ્યે ઘરે જમવા ગયા હતાં. જમીને તબેલા પર કામ કરતા શાકીર બંભા માટે જમવાનું ટીફીન લઇને સાડા આઠેક વાગ્યે વાડીએ જવા રવાના થયા. તે વખતે ઘરે તેમના પત્ની મીનાબા બંને દીકરાઓ ધૈર્યરાજ અને લક્ષરાજ બા-બાપુજી મોટાભાઇ રણજીતસિંહ અને બન્ને ભાભીઓ ઘરે હાજર હતાં.
રાત્રે અગિયાર વાગ્યે કરણસિંહ વાડીએ સૂતા હતા ત્યારે તેમના ભાઇનો ફોન આવ્યો અને કહ્યું કે જલ્દીથી ઘરે આવી જા. કરણસિંહ ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમના ઘરે માણસો એકઠા થઇ ગયા હતાં. તેમના રૂમમાંથી ધુમાડો નીકળતો હતો. તેમના પત્ની મીનાબા અને બંને બાળકો દાઝી ગયા હતાં.
બનાવ અંગે તેમેણે પત્નીને પૂછતા મીનાબાએ કહ્યું હતું કે મારું મગજ બરાબર ન રહેતાં ગુસ્સામાં આવી બંને દીકરાઓને ખોળામાં લઇ કેરોસીન છાંટી આગ લગાડેલ છે. ૧૦૮ એમ્બ્યુલન્સ આવી જતા તેમાં આવેલા ડોકટરોએ જાહેર કર્યું હતું કે બંને બાળકો મરણ પામ્યા છે. મીનાબાને ભૂજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. આ બનાવની પતિએ જ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.