મહિલા 18 વર્ષથી સાધુ બની ગયેલા પતિથી અલગ રહેતી હતી
મધ્યપ્રદેશ હાઈકોર્ટે પતિના છૂટાછેડા મંજૂર રાખ્યાં હતા
હવે સુપ્રીમ કોર્ટે પતિના છૂટછેડા રદ કરીને લગ્ન બહાલ કર્યાં
મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચૂકાદાને પડકારતી મહિલાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એક અનોખો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમના જસ્ટિસ યુયુ લલિત અને એસ રવિન્દ્ર ભટની ખંડપીઠે એક અનોખો ચુકાદો આપતા એક મહિલાના ભંગ થયેલા લગ્નને ફરી માન્યતા આપી હતી. આવો ચુકાદો આપતા ખંડપીઠે એવું અવલોકન કર્યું કે પરિણીત મહિલાનો સુહાગ અને સિંધૂર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે અને સમાજ તેને આ જ દ્રષ્ટિકોણથી મુલવે છે અને પતિથી અલગ રહેતી મહિલાઓ પણ સિંધૂરના સહારે પોતાનું આખું જીવન વીતાવી નાખતી હોય છે.
પતિ સાધુ બની જતા કરી છૂટાછેડાની અરજી
સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું કે 18 વર્ષથી અલગ રહેતા આ કપલ માટે હવે સાથે રહેવું અશક્ય બની શકે છે. પરંતુ, સમાજ જે રીતે મહિલાઓ સાથે વર્તે છે તે જોતાં, લગ્ન અને લગ્નની સ્થિતિનો ખ્યાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ત્રીઓ માટે લગ્ન અને સમાજમાં તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે ખૂબ મહત્વનું છે. મહિલાના પતિ શિશિરે સુપ્રીમમાં કહ્યું હતું કે તે હવે "સાધુ" છે અને તેની પત્ની સાથેના વૈવાહિક સંબંધમાં પાછો નહીં ફરી શકે અને ફરી લગ્ન પણ નહીં કરે. શિશિરની દલીલ પર જસ્ટિસ ભટે પૂછ્યું, "જો તમે દુનિયા છોડી દીધી છે, તો શું તમે બધું જ છોડી દીધું છે?" "અમે છૂટાછેડાને બાજુએ મૂકીશું. તેનાથી પતિને કોઈ ફરક નહીં પડે. 5 લાખની રકમ, જે હાઈકોર્ટના નિર્દેશ પર પત્નીને આપવામાં આવી હતી, તે જેમ છે તેમ છોડી દેવી જોઈએ.
પતિએ છૂટાછેડા લીધા પરંતુ સુપ્રીમે લગ્ન બહાલ કર્યાં
સુપ્રીમના જસ્ટિસ યુયુ લલિત અને એસ રવિન્દ્ર ભટની ખંડપીઠે એક મોટું પગલું ભર્યું હતું અને પતિની તરફેણમાં આપવામાં આવેલા મધ્ય પ્રદેશ હાઇકોર્ટના છૂટાછેડાના ચૂકાદાને રદ કરીને મહિલાના લગ્ન ફરી વાર બહાલ કર્યાં હતા. જસ્ટિસ લલિતે મૌખિક રીતે નિરીક્ષણ કર્યું હતું કે ભારતમાં અહીં સામાજિક દરજ્જો આપવામાં આવતી મહિલાઓ માટે વૈવાહિક સ્થિતિ મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે કે પતિ વતી કહેવામાં આવ્યું હતું કે તે હવે સાધુ બની ગયો છે અને તેણે બધું જ છોડી દીધું છે. સુનાવણી દરમિયાન પત્ની તરફથી હાજર રહેલા વકીલ પુરુષોત્તમ શર્મા ત્રિપાઠીએ કોર્ટને જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ખાસ નોંધ્યું છે કે પતિ સાથે કોઈ ક્રૂરતા નથી અને તેણે જાતે જ સાસુ-સસરા છોડ્યા નથી. આથી લગ્ન વિચ્છેદ કરવાનો હાઇકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. તેમણે કહ્યું કે પત્ની પોતાના લગ્ન ચાલુ રાખવા માગે છે.
જાણો શું છે મામલો
મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભિંડમાં રહેતા એક વ્યક્તિએ નીચલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. તેણે કહ્યું હતું કે તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે તે અલગ રહે છે. પરંતુ 2008માં ટ્રાયલ કોર્ટે છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. પતિએ હાઈકોર્ટની ગ્વાલિયર પીઠમાં અને હાઈકોર્ટમાં 2014માં અરજી દાખલ કરી હતી, જ્યારે પત્નીને 5 લાખ રૂપિયા આપવાનો આદેશ આપતા બંને વચ્ચે વૈવાહિક સંબંધ ન હોવાના કારણે લગ્ન ભંગ કર્યા હતા. પરંતુ 2017માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ લલિતની પીઠે આ કેસને ફરી હાઇકોર્ટમાં મોકલી આપ્યો હતો. જો કે, હાઇકોર્ટે ફરી પોતાનો નિર્ણય દોહરાવ્યો હતો. આના પર મહિલા ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચી અને હવે સુપ્રીમ કોર્ટે તેના લગ્નનું સ્ટેટસ ફરીથી સ્થાપિત કરી દીધું.