વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં રખડતાં ઢોરના ત્રાસે માઝા મૂકી છે. વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાય સમયથી ખૂબ વકરી રહ્યો છે. શહેરની એક પણ શેરી-રસ્તા એવા નહી હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય! આવી સ્થિતિ વચ્ચે માત્ર ત્રણ જ દિવસમાં ત્રણ શહેરીજનો ઢોરની ઢીંકે ચડયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે. વડોદરા ખાતે તેમણે જણાવ્યુ કે રખડતાં ઢોર મામલે વડોદરના મેયરને ફરી ટકોર કરી યોગ્ય કામગીરી અંગે સૂચન કરવામાં આવશે. આ અગાઉ વડોદરામાં ઢોરનો ત્રાસ વધ્યો હતો. જે દરમિયાન મેયર દ્વારા રખડતાં ઢોર મામલે યોગ્ય નિર્ણય લઈ લોકો માટે રાહતરૂપ કાર્ય કરાયું હતુ. જે પ્રકારની કામગીરી ફરી કરવામાં આવે તેવી મેયરને ટકોર કરવામાં આવશે.
રખડતાં ઢોર મામલે સરકારને કાયદામાં ફેરફાર કરવા સૂચન કર્યું
રખડતાં ઢોરના કાયદા અંગેની બાબતમાં સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે તાજેતરમાં બનાવાયેલા પશુ નિયંત્રણ બીલની અમુક મર્યાદાઓ રહેલી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ગામડામાં ગાય રાખવા અંગે લાઇસન્સ સહિતના નિયમમાં ફેર વિચારણા જરૂરી હોવાથી મુખ્યમંત્રીને ફેર વિચારણા કરવા અંગે સૂચન કરાયું છે અને મુખ્યમંત્રી દ્વારા પણ યોગ્ય નિર્ણયની ખાતરી અપવાં આવી છે. જરૂરી સુધારા-વધારા બાદ બિલની અમલવારી હાથ ધરાશે તેમ સી. આર. પાટીલે જણાવ્યુ હતું.
મુખ્યમંત્રી દ્વારા બિલને સ્થગિત રાખવા નિર્ણય
રાખડતા ઢોરનો ત્રાસ અટકાવવા રાજ્ય સરકાર રખડતા પશુઓ અંગે નવું બિલ વિધાનસભામાં લાવી હતી. પરંતુ માલધારી સમાજમાં આ બિલ અંગે આક્રોશનો જ્વાળા ભભુકયો હતો અને નવા બિલની અમલવારી પહેલા રખડતા પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી હતી. આ મામલે મુખ્યમંત્રી સાથે માલધારી સમાજના પ્રતિનીધિઓએ બેઠક પણ કરી હતી. જેમાં યોગ્ય વૈક્લિપક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ બિલને મોકૂફ રાખવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી હતી. લોકોને તકલીફ ન પડે અને માલધારી સમાજના લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી મુખ્યમંત્રીએ આ બિલને સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.