આજે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ મુસાફરો સાથે વાર્તાલાપ કરી અને રેલવેની કામગીરી વિશે લોકોના પ્રતિભાવો જાણ્યા હતા.
શતાબ્દી એક્સપ્રેસમાં રેલવેમંત્રી દોડી ગયા
સફાઈ બાબતે રેલવેમંત્રીએ કર્યું નિરીક્ષણ
યાત્રિકો સાથે વાર્તાલાપ કરી સવાલો પૂછ્યા
મુસાફરોને સારી સુવિધા અને સગવડ આપવા રેલવે દ્વારા હંમેશા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અચાનક જ શતાબ્દી એક્સપ્રેસમાં રેલવેમંત્રી દોડી આવ્યા હતા અને તેમણે ટોયલેટ ચોખ્ખું છે કે નહીં? ઉપરાંત સફાઈ બાબતે નિરીક્ષણ કરી અને યાત્રિકો સાથે વાર્તાલાપ કરી સવાલો પૂછ્યા હતા.
મુસાફરોએ તંત્રની કામગીરી બિરદાવી
આજે દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અચાનક દેખાતા મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ મુસાફરો સાથે વાર્તાલાપ કરી અને રેલવેની કામગીરી વિશે લોકોના પ્રતિભાવો જાણ્યા હતા. રેલવે મંત્રીએ યાત્રિકો પાસેથી સ્વચ્છતા, અને રેલવે સંબંધીત ટાઇમ ટેબલ તેમજ સુવિધા મામલે પ્રતિક્રિયા માંગી હતી. બીજી તરફ તેઓએ દિલ્હી, જયપુર રૂટ પર પણ વંદે ભારત ટ્રેન વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.
વંદે ભારત ટ્રેનને દિલ્હી, જયપુર સુધી દોડાવવામાં આવશે
આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના સવાલોના જવાબમાં મુસાફરોએ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો હતો અને રેલવે તંત્રની કામગીરીને વખાણી હતી. મુસાફરોએ રેલવે મંત્રીને જણાવ્યું હતું કે ટ્રેનમાં સફાઈની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. ઉપરાંત સમયસર ટ્રેન પહોંચે તે માટે પણ પ્રયાસો કરવામાં આવે છે. વધુમાં પ્લેટફોર્મ પર પણ સ્વચ્છતા હોવાથી પ્લેટફોર્મ ચોખ્ખાચણાક હોવાનું મુસાફરો જણાવ્યું હતું. આ દરમિયાન તંત્રને મંત્રી દ્વારા સુવિધાલક્ષી ટકોર પણ કરવામાં આવી હતી. એટલે જેના ભાગરૂપે ટ્રેન ટ્રેકમાં બદલાવ લાવી ટ્રેનની સુવિધા વધારવામાં આવશે અને બીજું વંદે ભારત ટ્રેનને આગામી સમયમાં દિલ્હી, જયપુર સુધી દોડાવવામાં આવશે. તેવો દાવો કરાયો હતો.