ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયાં બાદ આજે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, ગત 24 કલાક દરમિયાન 34 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના કેસમાં આજે પણ વધારો
ગત 24 કલાકમાં નોંધાયા 34 નવા કેસ
તો વડોદરામાં XE વેરિએન્ટની એન્ટ્રી
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં રાહત જોવા મળી છે. પણ ગત 24 કલાકમાં 34 કેસ સામે આવતા ફરી ચિંતા વધી ગઈ છે. તેમાં પણ સૌથી વધુ પાટનગર ગાંધીનગરમાં 23 જેટલા કેસ એક સામટા આવી ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8 તો ગાંધીનગર જિલ્લામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયો છે. આજે કુલ 6 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 114 થઈ તો વેન્ટીલેટર પર એકપણ દર્દી નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો ડર 99.10 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં XE વેરિએન્ટની એન્ટ્રીથી હડકંપ, સચિવે કહ્યું- ચિંતા નહીં પણ સાવધાની જરૂરી
રાજ્યમાં XE વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. 13 માર્ચે વડોદરાના ગોત્રીમાં પોઝિટિવ આવેલા દર્દીમાં કોરોનાનો XE વેરિએન્ટ જોવા મળ્યો હતો. નવા વેરિએન્ટના નોંધાયેલા કેસને લઈને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઓમિક્રોન કરતા XE વેરિયન્ટની સંક્રમણ ક્ષમતા વધારે છે. XE વેરિયન્ટમાં હોસ્પિટલાઈઝેશન ઓમિક્રોન જેટલું જ થતું હોવાની જણાવ્યું હતું. ઓમિક્રોન કરતા આ વેરિએન્ટની સંક્રમણ ક્ષમતા 10 ગણી વધારે છે. ભારત સરકારે XE વેરિયન્ટ પર નજર રાખવા સુચનો કર્યા છે. XE વેરિએન્ટને લઇ ભારત સરકાર સતત માર્ગદર્શન આપતી રહેશે. આ ઉપરાંત બુસ્ટર ડોઝને લઇ ભારત સરકાર દ્વારા નવો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જે અંગે પણ મનોજ અગ્રવાલે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે હવેથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો બુસ્ટર ડોઝ લઈ શકે છે. 18 થી 60 વર્ષ વચ્ચેના નાગરિકોએ ખાનગી સેન્ટરોમાં બુસ્ટર ડોઝ મેળવી શકશે. બુસ્ટર ડોઝની કિંમત હજુ સુધી નક્કી નથી કરાઇ પરંતુ આજે બુસ્ટર ડોઝની કિંમત નક્કી કરી દેવામાં આવશે.
વડોદરાના ગોત્રીમાંથી નવો XE વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા
બીજી તરફ ગુજરાતમાં કોરોનાના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઇ હોવાના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરાના ગોત્રીના એક શખ્સના 13 માર્ચે સેમ્પલ લેવાયા હતા.આ શખ્સના સેમ્પલમાં કોરોનાના નવા વેરિએન્ટ XEના લક્ષ્ણો જોવા મળ્યા છે.તંત્ર દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા ગુજરાતમાં XE વેરિએન્ટ મુદ્દે હજુ સુધી કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી.
ગુજરાતમાં હજી માસ્કનો નિયમ યથાવત- મનોજ અગ્રવાલ
મનોજ અગ્રવાલે ગાઇડલાઇનને લઇને જણાવ્યું હતું કે ગુજરાતમાં હજી માસ્કનો નિયમ યથાવત છે. સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પણ યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત નેશનલ લૉ યુનિવર્સિટીમાં આવેલા કોરોનાના કેસો બાબતે પણ તેમણે નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે નેશનલ લૉ યુનિવર્સિટીમાં બહારથી આવેલા બાળકો પોઝિટિવ આવ્યા છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે તેમણે તમામ શૈક્ષણિક સંસ્થાઓને કહ્યું હતું કે બહારથી આવેલા વિદ્યાર્થીઓમાં લક્ષણ દેખાય તો તાત્કાલિક તેઓ તંત્રને જાણ કરે, સ્ટાફ કે વિદ્યાર્થી કોઇમાં પણ લક્ષણ દેખાય તો તુરત માહિતી આપે જેથી તમામ પ્રિકોશનના તમામ પગલાં લઇ શકાય. શૈક્ષણિક સંસ્થામાં વધુ વિદ્યાર્થીઓ હોય છે તેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી જરૂરી છે.