અરવલ્લી: રખિયાલ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનું એકાએક મૃત્યુ થતા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતક 13 વર્ષિય વિદ્યાર્થી કુષણપાલ રમેશસિંહ મકવાણાના માતા પિતા તેમજ સંબધીઓના જણાવ્યા અનુસાર તેને નખમાં પણ રોગ ન હતો અને શનિવારે સવારે તંદુરસ્ત શાળાએ ગયો હતો. પરંતુ શાળાથી ઘરે પાછા આવ્યા બાદ ટીવી જોતો હતો. તે દરમિયાન ચીસો પાડી હતી અને વામીટ કર્યા બાદ ઢળી પડ્યો હતો.
મૃતકના સહઅભ્યાસી મિત્રના જણાવ્યા અનુસાર શનિવારે તેમનું સંસ્કૃત વિષયનું પેપર હતુ અને મધ્યાહન ભોજનમાં બધા બાળકોએ વગારેલી ખીચડી ખાધી હતી. શાળામાંથી ઘરે જવા નિકળતા કુષણપાલ રમેશસિંહ મકવાણાએ કાનમાં દુખે છે એમ કહ્યું હતુ અને 30 મીનીટના ગાળામાં મૃત્યુ પામ્યો હતો.
મળતી માહિતી અનુસાર મૃતક કુષણપાલ રમેશસિંહ મકવાણાની જ્યારે તબીયત લથડી ત્યારે તેના ઘરે કોઇ ન હતુ. કેમ કે તેના માતાપિતા તેની 16 વર્ષની બહેનને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો. તેથી દવાખાને ગયેલા હતા. કુષણપાલ રમેશસિંહ મકવાણાનું મૃત્યુ થતા પરિવારનો કુળદિપક બુજાયો છે. પરિવારજનોની માંગ છે કે પી.એમ રિપોર્ટ સત્વરે આપવામાં આવે જેથી મૃત્યુના કારણની ખબર પડે.