જમ્મૂ-કશ્મીરના પુલવામામા થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. ભારતે પણ પાકિસ્તાન સાથેના કેટલાક સંબંધો પર કાતર ફેરવી છે. તો બીજી તરફ ક્રિકેટ વર્લ્ડ કપને લઈને પણ ભારત પાકિસ્તાન સાથે મેચ ના રમે એવી લોક માગ ઉભી થઈ રહી છે. ત્યારે રાજકોટ SCAના સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ખરાબ થયા છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચ રદ કરી દેવી જોઈએ. આ મામલે BCCIએ તાત્કાલિક બેઠક યોજીને નિર્ણય લેવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પાકિસ્તાન સાથે ભારતે ક્રિકેટ ના રમવી જોઈએ એવી માગ ઉભી થઈ છે. તમને જણાવી દઇએ કે ભારતના ટોચના સ્પિનર હરભજન સિંઘે પણ જણાવ્યું છે કે પુલવામામાં થયેલા આંતકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચ રમવાની કોઈ જરુર નથી.
હરભજન માને છે કે ભારત પાકિસ્તાન સામે રમ્યા વિના પણ વર્લ્ડ કપ જીતવા માટે સક્ષમ છે. ઈંગ્લેન્ડમાં તારીખ ૩૦મી મે થી શરૃ થઈ રહેલા આઇસીસી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬મી જુને માન્ચેસ્ટરમાં વન ડે રમાવાની છે.
જોકે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ એવી માગ જોર પકડી કરી રહી છે કે ભારતે આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ગૂ્રપ મેચ ન રમવી જોઈએ. પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં ૪૦ જેટલા જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
એક ન્યુઝ ચેનલ સાથેની મુલાકાતમાં હરભજન સિંઘે કહ્યું કે આ અત્યંત મુશ્કેલ સમય છે. જવાનો પર જે હુમલો થયો છે તે અનપેક્ષિત અને આઘાતજનક છે. આ અંગે સરકારે અત્યંત કડક પગલાં ભરવા જોઈએ. હવે જ્યારે ક્રિકેટની વાત આવે તો હું માનુ છું કે આપણે તેમની સાથે કોઈ સંબંધો રાખવાની જરુર જ નથી.
જો તેમની સાથેના ક્રિકેટ સંબંધો જારી રહેશે તો તેઓ આ પ્રકારના આંતકવાદી હુમલા કરાવતા રહેશે. હરભજને એમ પણ ઊમેર્યું કે મને લાગે છે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાની કોઈ જરુર નથી. દેશ સૌથી પહેલા આવે અને અમે બધા દેશની પડખે છીએ. ક્રિકેટ હોય હોકી હોય કે અન્ય કોઈ રમત આપણે પાકિસ્તાન સામેના સ્પોર્ટ્સ સંબંધોને આગળ વધારવાની જરુર નથી.
સૈન્યનું સન્માન જાળવવા અને શહીદ થયેલા જવાનો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આપણે પાકિસ્તાન સામે કોઈ પણ રમત રમવી જોઈએ નહી. ભારતીય સ્પિનરે એમ પણ કહ્યું કે મને લાગે છે કે ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધો રાખવાની જરૃર જ નથી. આપણામાં એટલી તાકાત છે કે તેમના વિના પણ દુનિયાનું પેટ ભરી શકીએ તેમ છીએ. ક્રિકેટ કે રમત મહત્વની નથી. આપણે બધા હાલ સૈન્યના પ્રત્યે જવાનની પડખે ઉભા છીએ. તેમનું બલિદાન વ્યર્થ જવું ન જોઈએ.