ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ ? આવી જ એક ઘટના ગુજરાતની એક નારી સાથે બની. લગ્નના 15 દિવસ બાદ પતિ છોડીને ચાલ્યો ગયો પરંતુ આ નારી તૂટી પડવાને બદલે પોતે સેવી રાખેલા એક સ્વપ્ન સાથે મક્કમ રહી અને પાસ કરી UPSCની પરીક્ષા અને અનેક તકલીફો વચ્ચે તેઓ બન્યા IAS. આ વાત છે કોમલ ગણાત્રાની.
ગુજરાતી ધારે તો કાંઇપણ કરી શકે વાત ખરા અર્થમાં થઇ સાકાર
લગ્નના 15 દિવસમાં પતિએ છોડ્યા બાદ યુવતી બની IAS
આજે દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં બજાવે છે ફરજ
કોમલ ગણાત્રાના લગ્ન 26 વર્ષની વયે NRI યુવક સાથે થયાં હતા. લગ્ન બાદ દરેક છોકરી જે સપનાઓ જોવે તે જ રીતે કોમલે પોતાના માટે સપનાઓ જોયા હતા, પરંતુ જરૂરી નથી હોતું કે તમે જોયેલા તમામ સપનાઓ પુરા થાય, ક્યારેક કોઇ કારણોસર સપનાઓ ચકનાચૂર પણ થઈ જતા હોય છે. બસ આવી જ એક ઘટના કોમલની જિંદગીમાં બની.
લગ્નના 15 દિવસમાં પતિ છોડીને ચાલ્યો ગયો
લગ્ન થયાંના માત્ર બે જ અઠવાડિયામાં કોમલને તેમનો પતિ છોડીને ન્યુઝીલેન્ડ ચાલ્યો ગયો. આ ઘટનાથી કોમલ પર જાણે આભ તૂટી પડ્યું અને અંદરથી ભાંગી પણ પડી હતી. આ તમામ ઘટના વચ્ચે તેમણે UPSCની તૈયારી શરૂ કરી.
એક છોકરી માટે લગ્ન જ 'બધુ' નથી
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે વિચારીએ છીએ કે, લગ્ન આપણને પરિપૂર્ણ બનાવે છે. જ્યારે મારા લગ્ન થયાં ત્યારે હું પણ કાંઇક આવું જ વિચારતી હતી. પરંતુ પતિએ છોડ્યા બાદ અહેસાસ થયો કે, જીવનમાં એક છોકરી માટે લગ્ન જ બધુ નથી.
આકરી મહેનત બાદ કોમલ ગણાત્રા બન્યા IAS
કોમલે UPSCની તૈયારી માટે વિચાર્યું અને પુરા જોશ સાથે IASની પરીક્ષા પાસ કરી. આજે તેઓ નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં ફરજ બજાવે છે.
મારા પિતાએ હંમેશા મને આગળ વધતા શીખવાડ્યું છે
આપને જણાવી દઇએ કે, કોમલ ગણાત્રાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. તેમણે જ્યારે જે વર્ષે કોમલે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી, તેજ વર્ષે તે ગુજરાતી લિટરેચરમાં ટોપર રહ્યા. તેમણે જણાવ્યું કે, શરૂઆતથી જ મારા પિતાએ મને જિંદગીમાં આગળ વધતા શીખવ્યું છે. જ્યારે હું નાની હતી ત્યારથી પિતા કહેતા કે તું મોટી થઇને IAS બની પરંતુ ત્યારે મને UPSC વિશે કોઇ જાણકારી નહોંતી.
લગ્ન પહેલા 1000 રૂપિયાના પગારથી શરૂ કરી કારકિર્દી
લગ્ન પહેલા તેઓ એક શાળામાં બાળકોને ભણાવતા હતા. ત્યારે તેમનો પગાર માત્ર 1000 રૂપિયા હતા. જો કે, તેમણે જ્યારે GPSC મેઇન્સ પાસ કરી એ દરમિયાન તેમના લગ્ન NRI સાથે થયાં પરંતુ તેમના પતિ ઇચ્છતા નહોતા કે તેઓ GPSCની પરીક્ષા માટે ઇન્ટરવ્યૂ આપે. કારણ કે ન્યુઝીલેન્ડમાં રહેવાનું હતું. અંતે તેમણે સમય સાથે સમજૂતિ કરી અને પતિની વાતને સ્વીકારી લીધી. જો કે, 15 દિવસ બાદ કોમલનો પતિ ન્યુઝીલેન્ડ ચાલ્યો ગયો.
પતિના ગયા બાદ પરત લાવવો હતો મુશ્કેલ
પતિ ન્યુઝીલેન્ડ ગયાના બાદ કોઇ સમાચાર ન મળ્યા અને તેમણે વિચાર્યું કે પતિની પાછળ તેઓ ન્યુઝીલેન્ડ જાય અને તેને પરત લઇ આવે કારણે આ સમયગાળામાં તેમની દુનિયા જાણે થંભી ગઇ હતી. થોડા સમય બાદ અહેસાસ થયો હતો કે, તે માણસને ફરી પોતાના જીવનમાં પરત નહીં લાવી શકાય અને અંતે તેમને લોકોએ પૂર્વ પતિ સાથે છૂટાછેડા લઇને ફરી લગ્ન કરવાની સલાહ આપી.
અનેક લોકોની પ્રેરણા બન્યા કોમલ ગણાત્રા
જો કે, લોકોની સલાહ વચ્ચે કોમલે પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને UPSC પાસ કરવાનું નક્કી કર્યું. આ સાથે જ તેઓ માતા-પિતા અને સાસરેથી દૂર એક એવા ગામમાં રહેવા ચાલ્યા ગયા કે, ત્યાં ઇન્ટરનેટ, કોઇ મેગેઝીન કે અંગ્રેજી અખબાર પણ નહોંતું. તેમ છતાં તેમણે UPSCની તૈયારી ચાલી રાખી અને મુંબઇમાં પરીક્ષા આપી અને આજે આ મહિલા આજે IAS અધિકારી છે.