ઝંઝાવાતી સફળતા મળ્યા બાદ તેના કેફમાં રાચવાના બદલે નવા પડકારો અને ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ રાજનીતિમાં લાંબા સમય સુધી ટકી શકતા હોય છે. આ ગુણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના લોહીમાં વણાયેલો છે.
કોંગ્રેસ સહિતના વિપક્ષો હજુ કારમી હારના આઘાતમાંથી બહાર આવ્યા નથી અને મનોમંથનના નામે યોજાતી બેઠકોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો ચાલી રહ્યો છે, એકબીજા સામેનો ગુસ્સો બહાર આવી રહ્યો છે ત્યારે ભાજપે અત્યારથી જ આવનારા સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ અને ર૦ર૪ની લોકસભા ચૂંટણી માટેનું હોમવર્ક શરૂ કરી દીધું છે.
પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવનારા પીએમ મોદી સારી રીતે જાણે છે કે ર૦૧૯ની લોકસભા ચૂંટણી કરતાં મોટા પડકારો હવે આવવાના છે. જનતાએ જ્યારે ફરીથી પાંચ વર્ષ માટે દેશનું સુકાન ભાજપના હાથમાં સોંપ્યું છે ત્યારે અપેક્ષાઓ પણ અનેકગણી વધી ગઈ છે તે સમજી શકાય તેવી વાત છે. મતદારોનો આ વિશ્વાસ આગામી પાંચ વર્ષ સુધી ટકાવી રાખવો અને તેમની દરેક કસોટીમાંથી પાર ઊતરવું એ કોઈ સરળ વાત નહીં હોય.
કોંગ્રેસે આ વખતની લોકસભા ચૂંટણી પહેલાં જ એકદમ આક્રમક વલણ અપનાવવાની રણનીતિ અખત્યાર કરી લીધી હતી અને તેમના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધા વડા પ્રધાન મોદી ઉપર આકરા શબ્દોમાં હુમલા કરીને લોકોને આકર્ષવાની નિષ્ફળ કોશિશ કરી હતી. હવે પરિણામોમાં સાફ જાકારો મળ્યા બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ છોડવાની વાત કરી છે અને કોઈ બિનકોંગ્રેસીને નેતા બનાવવા પણ જણાવ્યું છે.
હકીકત એ છે કે મોદી અને શાહના નવા નવા રાજનૈતિક દાવપેચ અને વ્યૂહરચનાનો તોડ કાઢવો તો દૂરની વાત રહી પણ તેમની રણનીતિને સમજવામાં પણ વિપક્ષો માર ખાઈ રહ્યા છે. ભાજપને આ ચૂંટણીમાં રર કરોડ મત મળ્યા છે, જે ગત વખતની ચૂંટણી કરતાં લગભગ ત્રણ કરોડ વધારે છે. બીજી તરફ કોંગ્રેસ ૧ર કરોડ મત મેળવવામાં સફળ રહી છે. આમ જોઈએ તો ફક્ત પર બેઠકો જીતવા છતાં ૧ર કરોડ મત મેળવવા નાની વાત નથી.
મોદી અને શાહ સારી રીતે જાણે અને સમજે પણ છે કે ર૦ર૪માં તેમને સૌથી મોટો ખતરો કોંગ્રેસથી જ છે અને કોંગ્રેસ તેમનો ખેલ બગાડી શકે છે. આ કારણે જ મોદી અને શાહની જોડીએ અત્યારથી જ તેમના કિલ્લા વધુ મજબૂત કરવાના સંકેત આપી દીધા છે.
વિપક્ષના જાતિવાદના રાજકારણ સામે અમિત શાહ જડબેસલાક વ્યૂહરચના લઈને મેદાનમાં ઊતર્યા છે. વર્ષ ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેમણે જાતિવાદને હિન્દુત્વના જોરે હાર આપી હતી અને આ વખતે તેમણે રાષ્ટ્રવાદને સર્વોપરી બનાવીને જાતિવાદની વર્ષોજૂની થિયરીને સાફ કરી દીધી. ભાજપ છેલ્લાં પાંચ વર્ષમાં ૧૬ ચૂંટણી જીતી ચૂક્યો છે અને લગભગ દર વખતે અમિત શાહ તેમની રણનીતિ બદલી નાખે છે. આથી વિપક્ષને તેમનો તોડ શોધવાનો મોકો જ મળતો નથી અને ભાજપ બાજી મારી જાય છે.
મોદી આ ચૂંટણીમાં અને ભવ્ય જીત પછી પણ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ સૂત્ર હેઠળ લઘુમતીને પણ સાથે લઈને ચાલવાની વાત કહી ચૂક્યા છે. આગામી પાંચ વર્ષમાં મુસ્લિમોનો વિશ્વાસ જીતીને કોંગ્રેસની સૌથી મોટી વોટ બેન્ક તોડવાની આ મજબૂત વ્યૂહરચના છે. ટ્રિપલ તલાક બાદ હવે હલાલા અંગે પણ સખત કાયદો લાવીને મુસ્લિમ મહિલાઓને આકર્ષવાનું પ્લેટફોર્મ પણ તૈયાર થઈ ચૂક્યું છે.
ઉત્તરપ્રદેશમાં ર૦રરમાં યોજાનારી ચૂંટણી માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સૌથી મોટું હથિયાર સાબિત થશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા પણ સવા સાત કરોડથી વધારીને દસ કરોડને પાર કરવાની છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોના મત ભાજપની ઝોળીમાં આવશે તે નક્કી છે.
આગામી પાંચ વર્ષમાં મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, આસામ જેવાં રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પૂરું જોર લગાવીને પ્રદર્શન કરવા તૈયાર છે. અમિત શાહ અને મોદી ગઠબંધનનો ખેલ અને તેની તાકાત સમજે છે અને આથી જ તેમનો ‘માસ્ટર પ્લાન’ અગાઉથી તૈયાર હોય છે. ખાસ કરીને કોંગ્રેસ શાસિત રાજ્યમાં ભાજપનું ફોકસ વધુ રહેશે અને આગામી પાંચ વર્ષ દરમિયાન ર૦ર૪ની ચૂંટણી માટે એવો માહોલ બનાવવામાં આવશે કે ભાજપને સત્તા સુધી પહોંચવામાં કોઈ અડચણ ન આવે.•