ભારત સરકારે મધ્યમવર્ગના લોકો માટે હોમ લોનના વ્યાજ પરની સબસિડી 15 મહિના માટે વધારી દીધાના ખાસ અહેવાલા પ્રાપ્ત થયા છે. 2.60 લાખ રૂપિયા સુધીની સબસિડી હવે માર્ચ 2019 સુધી મળશે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ હોમ લોન પર મળી રહેલી સબસિડીનો લાભ લાભાર્થીઓને હવે ડિસેમ્બર પછીના 15 મહિના સુધી મળશે.
ઘરના ઘરનું સપનું જોઈ રહેલા દરેક મધ્યમવર્ગીય માણસને આ ફાયદો થવા પાત્ર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 31 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સબસિડી આપવાની જાહેરાત કરી હતી જેની અંતીમ તારીખ ડિસેમ્બર-17 ના અંત સુધીની હતી. પરંતુ તાજેતરમાં મળેલ અહેવાલ મુજબ જેની મર્યાદા હવે 15 મહિના સુધી વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે CLLS અંતર્ગત 6 લાખ રૂપિયાથી વધુ અને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનાર MIG લાભાર્થીઓને 9 લાખ રૂપિયાની 20 વર્ષ સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી મળશે. 12 લાખથી વધુ અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનાર લાભાર્થીઓને 3 ટકા વ્યાજ સબસિડી મળશે તેવુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક પરીપત્રમાં જણાંવવામાં આવ્યુ છે.