ચીન સાથે લદાખમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના જ પીઢ નેતાએ રક્ષામંત્રી અને વિદેશમંત્રીને લઈને જે ટોણો માર્યો છે તે જોઈને સૌ કોઈ હેરાન છે.
ભારત અને ચીન વચ્ચે લદાખમાં સરહદ વિવાદ
રક્ષામંત્રીએ ચીનનું નામ ન લેતા સ્વામીએ કર્યો કટાક્ષ
હું એવી પત્નીઓને જાણું છું જે પતિનું નામ નથી લેતી : સ્વામી
પોતાના તીખા નિવેદનોના કારણે ચર્ચામાં રહેનાર ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીનને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહને જોરદાર ટોણો માર્યો છે. એક વરિષ્ઠ પત્રકારે ટ્વિટર પર લખ્યું કે કોઈ સીધું ચીનનું નામ પણ નથી લઇ રહ્યું જેના પર સ્વામીએ કહ્યું કે પત્નીઓ પતિનું નામ નથી લેતી.
I know of wives who will not call their respective husbands by their names. https://t.co/TfbHfWxkEw
પત્રકારે લખ્યું કે કોઈએ સીધું જ ચીનનું નામ લીધું નથી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર, બંનેમાંથી કોઈએ ચીનનું નામ ન લીધું જ્યારે અમેરિકાએ સીધું જ ચીનનું નામ પણ લીધું અને હુમલો કર્યો. આ ટ્વિટ પર સ્વામીએ લખ્યું કે હું એવી પત્નીઓને જાણું છું જે પતિઓનું નામ લેતી નથી.
નોંધનીય છે કે ઘણા મુદ્દાઓ પર સુબ્રમણ્યમ સ્વામી મોદી સરકાર વિરુદ્ધ અવારનવાર નિવેદન આપતા જ રહે છે ત્યારે ભાજપ નેતાનું આ નિવેદન સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે. ઘણા બધા યુઝર્સ સ્વામીને ટ્રોલ પણ કરી રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે આ વર્ષથી જ લાંબો સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ભારતની પરાક્રમી સેના ચીનને જડબાતોડ જવાબ આપી રહી છે ત્યારે અમેરિકાના વિદેશમંત્રી અને રક્ષામંત્રી ભારતના પ્રવાસ પર છે અને અમેરિકા-ભારત વચ્ચે મહત્વની બેઠકો બાદ નિર્ણયો લેવાઈ રહ્યા છે.
સ્વામીએ કુલભૂષણ જાધવ કેસમાં કહ્યું હતું કે જો પાકિસ્તાના ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપે છે તો ભારતે બલૂચિસ્તાનને એક અલગ દેશના રૂપમાં માન્યતા આપી દેવી જોઈએ.
બલૂચ નાગરિકોને લઈને પણ તેઓ ચર્ચામાં રહે છે ત્યારે તેમણે ભારતમાં રહેતા બલૂચ શરણાર્થીઓ માટે ભારતમાં જ બિલ્ડીંગ ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતમાં રહેતા બલૂચ શરણાર્થીઓ માટે ભારતમાં વહેલામાં વહેલી તકે બલૂચિસ્તાન માનવાધિકાર કેન્દ્ર માટે બિલ્ડીંગ ઉપલબ્ધ કરાવવી જોઈએ. અમેરિકાએ પણ ન્યૂયોર્કમાં બલૂચ લોકોને રહેવા માટે પરવાનગી આપી છે.