ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેનાથી નાગરિકોને મોટી રાહત થશે. હવેથી રાજ્યમાં પ્રથમવાર સબ રજિસ્ટ્રાર કચેરી 12 કલાક ખુલ્લી રહેશે.
હવેથી રાજ્યમાં પ્રથમ વાર સબ રજિસ્ટ્રાર કચેરી 12 કલાક ખુલ્લી રહેશે
સોમવારથી સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ 2 શિફ્ટમાં કામ કરશે
વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઓફિસ 12 કલાક સુધી શરૂ રહેશે
સરકારના નિર્ણય બાદ હવેથી ગાંધીનગરમાં સોમવારથી સબ રજિસ્ટ્રાર કચેરી 2 શિફ્ટમાં કામ કરશે. વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઓફિસ 12 કલાક સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઇએ કે, અગાઉ દૈનિક 210 વેચાણખત રજિસ્ટ્રેશન થતા હતા જ્યારે અત્યારે દૈનિક 2500 સુધીના વેચાણખત રજિસ્ટ્રેશન થઇ રહ્યાં છે. અન્ય જિલ્લાઓમાં પણ વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે.
અત્યારે દૈનિક 2500 સુધીના વેચાણખત રજિસ્ટ્રેશન થઇ રહ્યાં છે
વધુમાં તમને જણાવી દઇએ કે, ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણખત રજિસ્ટ્રેશન માટે ટોકન મેળવવા માટે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ સબ રજીસ્ટ્રાર કચેરી પણ નાની હોવાના કારણે અહીં રોજના બે હજાર જેટલા વ્યક્તિઓની અવર-જવરના કારણે લોકોને અગવડતાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અહીં રોજના 2500 વેચાણખત રજિસ્ટ્રેશન થઇ રહ્યાં છે જેના પગલે સ્ટેમ્પ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીને બે શિફ્ટમાં કામગીરી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ શિફ્ટ સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ 2:30થી રાત્રિના આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેના પગલે દસ્તાવેજોનું ભારણ ઘટશે.
પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે
ગાંધીનગરમાં હાલ અલગ-અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજો નોંધાઇ રહ્યાં છે ત્યારે બન્ને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ-અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.