જૂનાગઢના કેશોદમાં 3 વિદ્યાર્થિનીઓનો કોરોના પોઝિટિવ આવતા હાહાકાર, શાળા પ્રસાશને તાત્કાલિક 10 દિવસ માટે શાળામાં રજા જાહેર કરી
કેશોદમાં 3 વિદ્યાર્થિનીઓને કોરોના
3 વિદ્યાર્થિનીઓને હોમ કોરન્ટાઈન કરાઇ
શાળામાં 10 દિવસની રજા જાહેર કરાઈ
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે પરતું કેટલાક અંશે હજુ પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, એવામાં જૂનાગઢના કેશોદમાં એક સાથે 3 વિદ્યાર્થીઓ કોરોના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
3 વિદ્યાર્થિનીઓને હોમ કોરન્ટાઈન કરાઇ
કેશોદના મેસવાણ ગામે પે સેન્ટર શાળાની 3 વિદ્યાર્થિનીઓનો કોરોના પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરી છે. તેમજ વિદ્યાર્થિનીઓના પરિવારજનો આસપાસ રહેલા તમામ લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જો કે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શાળા પ્રસાશન દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, શાળાએ વિદ્યાર્થીઓના હિતમાં 10 દિવસ માટે શાળામાં રજાની જાહેરાત કરી દીધી છે.
શાળામાં 10 દિવસની રજા જાહેર કરાઈ
મહત્વનું છે કોરોના કેસ વધતા સરકાર દ્વારા શાળોને બંધ રાખવાના નિર્દેશ કરાયા હતા એટલું જ નહીં બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે ઓનલાઈન શિક્ષણ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા જે બાદ કેસ ઘટના ફરી શાળાઓ શરૂ કરવામાં આવી છે એવામાં ત્રણ વિદ્યાર્થિનીઓનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે આ વિદ્યાર્થિનીઓ શાળા દરમિયાન કેટલા લોકોના સંપર્કમાં આવી તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો ત્રણેય વિદ્યાર્થિનીઓને હોમ કોરન્ટાઈન કરવામાં આવી છે તેમજ અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિની કોરોના સંક્રમિત ન થાય તે માટે શાળામાં 10 દિવસની રજા પણ જાહેર કરી દેવામાં આવી છે.
જૂનાગઢમાં વેક્સિન લેવા માટે કરાઈ અપીલ
જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં કોરોના વેક્સિનના પ્રથમ ડોઝની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ છે. અને હવે કોરોના રસીનો બીજો ડોઝ પણ સમયસર લેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે કોરોના મહામારીથી બચવા વેક્સિનેશન જ એક માત્ર ઉપાય છે એવું જિલ્લા કલેકટર રચિત રાજ, ડીડીઓ મિરાંત પરીખના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝની કામગરી 100 ટકા પૂર્ણ થઇ છે. ત્યારે હવે બીજો ડોઝ પણ સમયસર લેવાનું કહેવામાં આવી રહ્યું છે સાથોસાથ માસ્ક પહેરવા,સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ હાથને સેનેટાઈઝ કરતા રહી કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા પણ જણાવાયું છે.
રાજકોટમાં પણ 3 વર્ષના બાળકને કોરોના
બીજી તરફ રાજકોટમાં પણ 3 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, રૈયાધાર વિસ્તારમાં 3 વર્ષના બાળકને કોરોના આવ્યો છે. આ બાળકોને 8 ઓક્ટોબરના રોજ રિપોર્ટ પોઝિટિવ હતો જે બાદ બાળક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.