હું આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ: યુવરાજસિંહ જાડેજા
રાજ્ય (Gujarat) માં પેપર ફૂટ્યાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે આ પેપરકાંડ મુદ્દે જે-તે જવાબદાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અનેકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા માંગ કરી ચૂક્યાં છે. ત્યારે એકવાર ફરી તેઓએ મીડિયા સામે આવી નિવેદન આપતા જણાવ્યું કે, 'મારે ઘણા દુ:ખ સાથે કહેવું પડે છે કે, સાત મહિના જેટલો સમય વીતી જવા આવ્યો છતાં આજ દિન સુધી આ મામલે ન તો સજાત્મક કે દંડાત્મક કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી. કે ન તો કોઇ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા.'
ભરતીઓમાં કૌભાંડ મામલે અમે સરકાર સામે બંડ પોકારીશું
વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા એમ કહેવામાં આવેલું કે તમે કોઇ પણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રકારની માહિતી જાહેર ન કરશો. તમારી પાસે કોઇપણ માહિતી હોય તો અમને આપવા વિનંતી. તો તેને ધ્યાનમાં રાખીને સરકારના જે વહીવટી વડા છે (GIDના જે મેઇન વડા છે) અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે મુખ્ય વડા છે તેમને અમે સબ ઓડિટર, ઓડિટર, ATDO, MPHW અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ આધાર-પુરાવા સાથેની માહિતી, પેપર ક્યાંથી લિક થયું, પેપર કોણે લિક કર્યું, પેપર કઇ ગાડીમાં લઇ જવામાં આવ્યું, કઇ તારીખે આવ્યું અને પેપર લેનારા વિદ્યાર્થીઓના નામ પણ એ સમયે જાહેર કરેલા. ત્યારે સરકારે એ સમયે આશ્વાસન પણ આપેલું કે અમે આ મુદ્દે ચોક્કસથી પગલાં લઇશું. પરંતુ મારે આજે દુ:ખ સાથે કહેવું પડે છે કે, એ જે ભરતીઓ હતી તેમાં હજુ સુધી કોઇપણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. એમાંય ATDOમાં તો મોટા ભાગના લોકોને નિમણૂંક પણ મળી ચૂકી છે. આવનાર થોડા દિવસમાં ઓડિટર અને સબ ઓડિટરના ઉમેદવારોને પણ સરકાર નિમણૂંક આપવા જઇ રહી છે. ખાસ કરીને જે ભ્રષ્ટાચારીઓ છે તેમાં ( સિસ્ટમમાં ) સરકાર જાણીજોઇને સડો લાવી રહી છે. આ સિસ્ટમના સડાને દૂર કરવા અને અટકાવવા માટે મે એક નિર્ણય લીધો છે કે આવનાર દિવસોમાં જે-જે ભરતીઓમાં કૌભાંડ થયા છે તે તમામ બાબતોમાં અમે સરકાર સામે બંડ પોકારીશું.'
ગાંધીનગરમાં એક લાખ યુવાનો ભેગાં થઇને યુવા મહાસંમેલન યોજીશું
આ સાથે એમ કહ્યું કે, 'વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડા રોકવા માટે અમે તમામ મોરચે લડવા જઇ રહ્યાં છે. શાસકોની સામે અમે આવનાર દિવસોમાં રાજકારણમાં સક્રિય થઇશું. અમે યુવાનોના મુદ્દાને લઇને 15 ઓક્ટોબરની આસપાસમાં ગાંધીનગરમાં આશરે 50 હજારથી એક લાખ યુવાનો ભેગાં થઇને યુવા મહાસંમેલન યોજવા જઇ રહ્યાં છીએ.'
આમ આદમી પાર્ટી ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા પણ તૈયાર
આમ આદમી પાર્ટીને લઇને યુવરાજસિંહે નિવેદન આપતા જણાવ્યું કે, 'હું આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ. આમ આદમી પાર્ટી જો ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા પણ તૈયાર છું.'