પાંચ વર્ષ પહેલા એન્જીનીયરીંગ કરવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતા હતા. ત્યાં આજે પાંચ વર્ષ બાદ સ્થિતિ બદલાઈ છે અને ઈજનેરી કોલેજોને વિદ્યાર્થીઓના નથી મળી રહ્યા.
છેલ્લા પાંચ વર્ષમાં ડીપ્લોમાં ઈજનેરી કોલેજોની કુલ ૧,૨૭,૯૩૬ બેઠકો વિદ્યાર્થીઓના અભાવના કારણે ખાલી રહેવા પામી છે. આ વર્ષની સ્થિતિ તો એટલી બદતર થઇ છે કે ઓછી ફી એ અભ્યાસ કરાવતી સરકારી કોલેજોની પણ ૮૧૦૦ બેઠકો ખાલી રહી.
વર્ષ ખાલી બેઠકો
૨૦૧૪- ૨૬૧૩૩
૨૦૧૫- ૨૧૫૫૫
૨૦૧૬- ૨૨૩૩૧
૨૦૧૭- ૨૬૫૭૨
૨૦૧૮- ૧૮૪૭૮
૨૦૧૯- ૩૯૦૦૦
આ આંકડાઓ છેલ્લા ૬ વર્ષમાં ખાલી રહેલ ડીપ્લોમા ઈજનેરી કોલેજોની બેઠકોના છે. છેલ્લા પાંચ વર્ષમાં ડીપ્લોમાંની ૧,૨૭,૯૩૬ બેઠકો ભરાયા વગરની રહી. આશ્ચર્ય પમાડતા આ આંકડા એટલા માટે સામે આવી રહ્યા છે કારણ કે ઈજનેરી કરવામાં હવે વિદ્યાર્થીઓને રસ નથી રહ્યો. સમયની સાથે વિદ્યાર્થીઓની વિષય પસંદગી બદલાઈ છે અને એન્જીનીયરીંગ કરનાર વિદ્યાર્થીઓ કોલેજોને નથી મળી રહ્યા. ડીપ્લોમાં ઈજનેરીની આ વખતની સ્થિતિ એ છે કે કુલ ૭૫૦૦૦ બેઠકો સામે ૩૮૦૦૦ જેટલી બેઠકો તો ખાલી રહી છે. જે પૈકી ૩૦૦૦૦ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની જયારે ૮૧૦૦ બેઠકો સરકારી કોલેજોની ખાલી રહી છે. બેઠકો ખાલી રહેવાનું કારણ પ્રવેશ સમિતિ બેઠકો વધવાને આપી રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષથી ડીપ્લોમાં ઈજનેરીની ૨૦થી ૨૫ હજાર બેઠકો ખાલી રહેતી હતી. જો કે આ વર્ષે ઈડબલ્યુએસના કારણે બેઠકોમાં વધારો થયો છે અને અંદાજીત ૩૮ હજાર બેઠકો ખાલી રહી છે. શિક્ષણ સાથે સંકળાયેલ નિષ્ણાતોનું માનવું છે કે ઈજનેરી અભ્યાસ બાદ નોકરીની તકો ઓછી થવી, ભવિષ્યની ડીમાંડ કયા ક્ષેત્રમાં છે તેનો અભ્યાસ કર્યા વગર કોલેજોને મંજુરી આપવી. વધારે ફી, ટેકનીકલ શિક્ષણનું સ્તર નીચે જવાને કારણે નોકરીઓ ઓછી થવાને કારણે વિદ્યાર્થીઓ ડીપ્લોમાં ઈજનેરી કરવા નથી માંગતા.
અનેક કારણોના લીધે ઈજનેરી કોલેજોને વિદ્યાર્થીઓ છેલ્લા ૫-૬ વર્ષથી નથી મળી રહ્યા. જો કે આ વર્ષે વધુ એક ચિંતાજનક બાબત એ સામે આવી છે કે ઓછી ફી સાથે અભ્યાસ કરાવતી સરકારી કોલેજોની પણ ૮૦૦૦ બેઠકો ખાલી રહી છે. એટલે વિદ્યાર્થીઓનું માનસ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઈજનેરી નથી કરવું.