કચ્છઃ સમાજમાં આભડછેડ અને જાતિવાદનું દૂષણ આજે પણ જોવા મળી રહ્યું છે. આ જ જાતિવાદના દૂષણે એક માસુમનો આજે ભોગ લઈ લીધો છે. ઘટના ભુજમાં આવેલ મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની છે. જ્યાં અભ્યાસ કરતી 18 વર્ષિય ભાગ્યલક્ષ્મીનું બિમારીના કારણે સારવાર દરમિયાન મોત થયું છે.
પરંતુ ભાગ્યલક્ષ્મીના મોત પાછળ હોસ્ટેલના સંચાલકો અને વોર્ડન જવાબદાર હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. ભાગ્યલક્ષ્મીના પિતાએ આક્ષેપ લગાવતા જણાવ્યું કે તેમની પુત્રી તંદુરસ્ત હતી. પરંતુ 15મી ઓક્ટોબરે સાંજે તેની તબિયત ખરાબ થઈ હતી. તને ઝાડા-ઉલટી થયાં હતા. પરંતુ મહિલા વૉર્ડને જાતિવાદી સૂગ રાખી તેની સમયસર સારવાર ના કરાવી. વધુ તબિયલ લથડી ત્યારે ઘરે જાણ કરાઈ પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
ભાગ્યલક્ષ્મીના પિતાના જણાવ્યા પ્રામાણે તેઓ હોસ્ટેલ પહોંચ્યા ત્યારે ભાગ્યલક્ષ્મી બેભાન હાલતમાં હતી. જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. પરંતુ તે બચી ન શકી. ભાગ્યલક્ષ્મીના મોત પછી દલિત આગેવાનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્ટેલની વોર્ડન અને સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા હંગામો મચાવ્યો હતો. જે પછી પોલીસે વોર્ડન સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.