શિક્ષકને આપણે ગુરુની ઉપાધી આપી છે. કારણ કે, એક શિક્ષક સો માતા-પિતાની ગરજ સારે છે. આવી વાતો તો આપણે ખૂબ સાંભળી પણ છે અને ક્યાંક વાંચી પણ હશે. પરંતુ આજે જોઈપણ લો કારણ કે, આવો જ એક કિસ્સો દ્વારકા જિલ્લામાં સામે આવ્યો છે.
વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ
શાળાના આચાર્યની બદલી રોકવા માટે શાળાએ આવવાનું કર્યું બંધ
ઉચ્ચારી આંદોલનની ચીમકી
જ્યાં શાળાના આચાર્યની બદલીનો લેટર આવ્યો અને આચાર્યની બદલી રોકવા માટે વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતરી ગયા. વિરોધ પણ કેવો વિદ્યાર્થીઓએ શાળાએ આવવાનું બંધ કરી દીધું.
ગામની શાળાની આચાર્યની થઇ બદલી
જામકલ્યાણપુર તાલુકાનું મણિપુર હાબરડી ગામ આમતો ખૂબ નાનું અને ખૂબ શાંત ગામ છે અહીં સરકારી તાલુકા શાળા આવેલી છે. સરકારી આ શાળા હાલ ચર્ચામાં છે કારણ પણ અહીં અનેરું છે અહીં છેલ્લા 15 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા મસરી ચાવડાની બદલી થવાની જાણ ગ્રામજનોને થતા સમસ્ત ગામે એક થઈ આ બદલી ના થાય તે માટે પોતાના પ્રયાસો હાથ ધર્યા છે.
વિદ્યાર્થીઓ સ્કૂલનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી
આ મામલે તેઓએ બદલી નો હુકમ રદ કરવા તેઓએ રજુઆત પણ કરી છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ આચાર્યની બદલીનો હુકમ રદ કરવામાં નહીં આવે તો મણિપુર હાબરડી ગામના વિદ્યાર્થીઓ સ્કૂલનો બહિષ્કાર કરશે અને ગ્રામજનો પણ આ મામલે આંદોલન કરશે.
200 થી વધુ સંખ્યા ધરાવે છે શાળા
200 થી વધુ સંખ્યા ધરાવતી આ મણિપુર હાબરડી તાલુકા શાળામાં વિદ્યાર્થીઓએ શાળાનો બહિષ્કાર કરી આચાર્યની બદલી રોકવા માંગ કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો પણ આ મામલે એક સુરમાં આ બદલી વિરોધ કરી રહ્યા છે અને જો બદલી રોકવામાં નહીં આવે તો આ મણિપુર હાબરડી ગામ છેવટ ગાંધીનગર સુધી કદમ મુકશે.
ત્યારે ગ્રામજનોનો જોશ અને આક્રોશ એ સ્પષ્ટ ઈશારો આપી રહ્યો છે કે જો બદલી રોકાશે નહીં તો આ બહિષ્કાર સતત ચાલુ રહેશે અને તંત્રના કારણે વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બગડી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે શુ નિર્ણય કરે છે ત્યારે આજે સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળી શાળાનો બહિષ્કાર કરતા મામલો ગરમ બન્યો છે.