Board Exam Result 2023: ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન પિતાની છત્રછાયા ગુમાવનારા રાજકોટની દેવાંશીએ 99 ટકા પર્સન્ટાઈલ મેળવ્યા. પરિણામ જાહેર થયા બાદ દીકરી પિતાને યાદ કરીને રડી પડી.
ચાલુ પરીક્ષાએ પિતાનું થયું હતું નિધન
હિંમત હાર્યા વિના આપી ધોરણ 12ની પરીક્ષા
ધોરણ 12માં મેળવ્યા 99 ટકા પર્સન્ટાઈલ
પરિણામ બાદ પિતાને યાદ કરીને ભાવુક થઈ વિદ્યાર્થિની
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે બુધવારે સવારે માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું 79.94% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં 338 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ જ્યારે 2403 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યા છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજકોટની દેવાંશી મકવાણા નામની વિદ્યાર્થિનીએ પણ બાજી મારી લીધી છે. મહત્વનું છે કે, વિદ્યાર્થિની દેવાંશીના પિતા મયુરભાઈનું બાર્ડની પરીક્ષા દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું, છતાં દેવાંશીએ હિંમત હાર્યા વગર પરીક્ષા આપી અને પિતાનું નામ રોશન કર્યુ. દેવાંશી મકવાણાએ 99 ટકા પર્સન્ટાઈલ મેળવ્યો છે.
ક્રિકેટ રમતી વખતે આવ્યો હતો હાર્ટ એટેક
વિદ્યાર્થિની દેવાંશી VTV NEWS સાથેની વાતચીત દરમિયાન પિતાને યાદ કરીને રડી પડી. તેણીએ જણાવ્યું કે, ગત 19 માર્ચના રોજ તેઓ ક્રિકેટ રમવા માટે ગયા હતા અને સવારે 9.00 વાગ્યે તેમના ફોનમાંથી ફોન આવ્યો કે મયુરભાઈ ક્રિકેટ રમતા-રમતા પડી ગયા છે. ત્યારે અમને થયું કે તેમને નાની-મોટી ઈજા થઈ હશે, પરંતુ આ તો ક્યારેય વિચાર્યું ન હોય એવું થયું. બોર્ડની પરીક્ષા મારે ચાલુ હતી, આટલા પેપર ગયા એમાં સેન્ટર પર મને દરરોજ લેવા મુકવા આવતા હતા. હું હિંમત હારી જ ગઈ હતી પણ મમ્મીના સપોર્ટથી પરીક્ષા આપી.
પિતાને યાદ કરીને રડી પડી દેવાંશી
તેણીએ રડતા-રડતા જણાવ્યું કે, 'તેમનું એક સપનું હતું કે હું સારા માર્ક્સે પાસ થઈ જઉં, આજે તેમનું સપનું પૂરું થયું છે. રિઝલ્ટનો ખૂબ આનંદ છે અને પપ્પા ગયાનું ખૂબ જ દુઃખ છે. રિઝલ્ટ કરતા પણ વધારે એનું દુઃખ છે.'
હું આવી રીતે જ મારી દીકરીને સપોર્ટ કરીશઃ દેવાંશીની માતા
દેવાંશીની માતાએ કહ્યું કે, 'કોઈ વિદ્યાર્થીઓએ હિંમત ન હારવી જોઈએ. દેવાંશીના પિતાની ઈચ્છા હતી કે તે ભણીગણીને ખૂબ જ આગળ વધે, એટલે તેમનું એક સપનું આજે પૂરું થયું છે. હું આગળ પણ તેને સપોર્ટ કરીને ભણાવીશ.'
19 માર્ચે આવ્યો હતો હાર્ટ એટેક
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 19 માર્ચે સવારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મયુરભાઈ મકવાણાને ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન હાર્ટ એટેકે આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને પરિવારને જાણ કર્યા બાદ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.