વિદ્યાર્થીનીને ગિરીશ નામના શિક્ષક દ્વારા ટોર્ચર કરવામા આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, હવે પોલીસે શિક્ષક અને ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી
જામનગરમાં વિધાર્થિનીનો આપઘાત
શિક્ષક, ટ્રસ્ટી પર ટોર્ચરિંગનો આરોપ
ટોર્ચરિંગને પગલે આપઘાતનું પગલું
જામનગરમાં 14 વર્ષની વિદ્યાર્થીનીએ આપધાત કરતા મામલો ગરમાયો છે. ધ્રોલ તાલુકામાં આવેલી શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. જ્યાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીના આપઘાત બાદ પરિવારજનોએ શિક્ષક અને ટ્રસ્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે.
હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાધો
જામનગરના ધ્રોલ તાલુકાના ખારવા ગામ પાસે આવેલી શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં મંગળવારે અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તેના હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કેમ ભર્યું અંતિમ પગલું
શિક્ષકે આપેલું લેશન કર્યું ન હોવાથી ઠપકો આપતા વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભર્યું હોવાનું શાળાના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ મૃતક વિદ્યાર્થિનીના પરિવારના આરોપ મુજબ શિક્ષક, ટ્રસ્ટી સતત ટોર્ચરિંગ કરી રહ્યા હતા તેથી આ અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો છે. હાલમાં પોલીસે શિક્ષક અને ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ તેજ કરી છે.